અરવલ્લી જિલ્લાની આર.ટી.ઓ.કચેરી છેલ્લા ઘણાં સમથી તેની કથિત સારી મીડિયાની હેડલાઈન્સ બની હતી, ત્યારે વધુ એકવાર આર.ટી.ઓ. કચેરીની સારી કામગીરીની પ્રસંશા કરતો પત્ર કલેક્ટરને લખવામાં આવ્યો છે. આ વાત કદાચ આપને અજીબ લાગશે પણ વાત સાચી છે. અરજદારો આર.ટી.ઓ. ની કામગીરીથી એટલા તો ખુશ છે કે, તેમણે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી દીધી છે.
વાત જાણે એમ છે કે, અરજદાર ચંદ્રકાંદ સિંધી નામના અરજદારે આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણાં સમયથી કામકાજને લઇને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. આ બાબતે તેમણે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. તેમણે કલેક્ટરને અરજી કરી જણાવ્યું છે કે, કોઇપણ પ્રકારની નીતિ વિના મનસ્વી રીતે મનગડત કાયદાઓ પ્રમાણે અર્થઘટન કરીને તેમને છેલ્લા 15 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. તેમની ગાડી ટ્રાન્સફર કરી આપતા નથી. અરજીમાં એમપણ લખવામાં આવ્યું છે કે, આરટીઓ કચેરીમાં હજુ પણ એજન્ટ પ્રથા અમલીકરણ હોય અરજદારોના કામ થતાં નથી. આ સાથે જ તેમણે મોટો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અધિકારીઓ અને ઓપરેટર્સ વચ્ચે સાંઠગાંઠ હોય કોઇપણ બાબતે અધિકારીઓ ઓપરેટર પાસે જણાવવાનું કહી દે છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત સાથે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે.
સાંભળો RTO કચેરીમાં અરજદારને પડ્યા ધક્કા
રોષે ભરાયેલા અરજદારે એ પણ રોષ ઠાલવ્યો છે કે, કલેક્ટર દ્વારા આરટીઓ કચેરીમાં એજન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધનું જાહેરનામુ જાહેર કરવામાં આવ્યું છે પણ તેની અમલવારી થાય છે કે તે ચકાસણી કરવી જોઇએ. ભોગ બનનારે અરજદારે એમ પણ જણાવ્યું કે, એજન્ટ વિના કોઇપણ કામ થતાં નથી અને એજન્ટ ત્યાં આવે જ છે અને આ બાબતે કરેલી લેખિતમાં રજૂઆત પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મોડાસાની આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણાં સમયથી એજન્ટ પ્રથાને લઇને સવાલો ઉઠતા હતા ત્યારે આ બાબતે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જોકે અરજદારે કલેક્ટરને કરેલી લેખિતમાં રજૂઆત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શું હજુ પણ એજન્ટ પ્રથા થી જ ચાલે છે RTO કચેરી…?