નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. મુર્મુએ ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા હતા. તે શરૂઆતથી જ સિંન્હા સામે આગળ હતા. મોડી સાંજે પરિણામ જાહેર થયા બાદ આખરે તે જીતી ગયા છે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીના જણાવ્યા અનુસાર, ત્રીજા રાઉન્ડ પછી કુલ માન્ય મત 3219 છે, જેનું કુલ મૂલ્ય 8,38,839 છે. તેમાંથી દ્રૌપદી મુર્મુને 5,77,777ના 2161 મત મળ્યા. યશવંત સિંહાને 2,61,062ના 1058 વોટ મળ્યા.
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ત્રીજા રાઉન્ડની ગણતરીના અંતે કુલ માન્ય મતોના 50% આંકને વટાવી દીધો હતો. દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે.
જાણો ચૂંટણીનું પરિણામ
રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામની જાહેરાત સાથે પૂર્ણ થઈ. કુલ 4754 મત પડ્યા હતા જેમાંથી 4701 માન્ય અને 53 અમાન્ય હતા. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેના ઉમેદવારનો ક્વોટા 5,28,491 હતો. દ્રૌપદી મુર્મુએ 2824 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મેળવ્યા – જેનું મૂલ્ય 6,76,803 છે.
જીતનો જશ્ન
મુર્મુની જીત બાદ ભાજપ કાર્યાલયોમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ઓડિશાના રાયરંગપુરમાં તેમના વતન ગામમાં ઉજવણી કરવામાં આવી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ શુક્રવારે યોજાશે. PM નરેન્દ્ર મોદી સાંજે 5:30 વાગ્યાથી દિલ્હીની હોટેલ અશોકામાં વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિભોજનનું આયોજન કરશે.