23મી જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ ખાતે જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વાવેતર, વાંચન અને પ્રકૃતિ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસમાં પક્ષીઓને ધ્યાને રાખી શિતાફળ, જામફળ, જાંબુ, પીપળો, વડ જેવા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ રજીસ્ટાર આનંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેઓએ પત્રકારત્વના વિદ્યાર્થીઓને વૃક્ષોની પર્યાવરણ સાથે આવશ્યકતા અંગે તેમજ સમાજમાં દરેક નાગરિકની વૃક્ષોનાં જતન સાથેની ફરજ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે વૃક્ષો વાવી તેનું જતન કરવા સપથ ગ્રહણ કર્યા હતાં.
આ સાથે ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમના ટીચિંગ આસિસ્ટન્ટ ભરતભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્રસારણ દિવસ નિમિત્તે ભારતમાં 1927માં આજના દિવસે ભારતીય પ્રસારણ કંપનીએ મુંબઈ સ્ટેશનથી રેડિયોનું પ્રસારણ શરૂ કર્યું હતું ત્યારથી લઇને અત્યાર સુધી પ્રસારણના માધ્યમ થકી સમાજના બદલાવ અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ ભરતભાઈએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ પહેલાં વૃક્ષને રક્ષાસૂત્ર બંધાવી વૃક્ષ પૂજન કરાવ્યુ હતું. વિદ્યાર્થીઓ ધ્વારા વૃક્ષારોપણ અંગે જાગૃતિ કેળવવા કેમ્પસમાં ‘તરૂ યાત્રા’ યોજવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘ધરુમાં ધરણીધર’, ‘છોડમાં રણછોડ’, અને ‘વૃક્ષમાં વાસુદેવ’ ના સુત્રોચ્ચાર સાથે તરુ યાત્રા યુનિવર્સિટી કેમ્પસમાં ફેરવી વૃક્ષોના મહત્વને ઉજાગર કર્યુ હતું.
આજના ખાસ દિવસે ભારત તિબેટ મંચના પ્રમુખ ભરતભાઈ ચૌધરીએ “વાંચશે ગુજરાત…વાવશે ગુજરાત” યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના થકી સમગ્ર ગુજરાતમાં જે લોકો વૃક્ષ વાવી તેનું જતન કરવા તૈયારી દાખવશે તે લોકોને ભારતના ગૌરવવંતા ઈતિહાસથી વાકેફ કરતુ પુસ્તક વિનામૂલ્યે આપવાની યોજના અમલમાં મૂકી હતી. જેમાં આજના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓને 50 જેટલાં ભારતના ગૌરવવંતા ઈતિહાસના પુસ્તકોનુ વિતરણ કર્યું હતું.