અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, જેને લઇને 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોંઘવારી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. મોટા ભાગની શાકભાજી 100 રૂપિયે કિલોના ભાવે વેંચાઈ રહી છે તો કંકોળા 200 રૂપિયાના ભાવે વેંચાય છે.
શાકમાર્કેટમાં હોલસેલર નક્કી કરેલા ભાવે ખરીદે છે, પણ રીંગ કરી રીટેલર ઊંચા ભાવે વેંચતા હોવાની રાવ
મોડાસા માર્કેટમાં શાકભાજીના આવક થઇ રહી છે, અને હોલસેલર શાકભાજીની ખરીદી કરે છે જો કે રેટેલ માં શાકભાજી વેંચતા વેપારીઓ રીંગ કરીને મનમરજી ભાવ લેતા હોવાની બૂમો ઉઠવા પામી છે, જેને લઇને શાકભાજીના રીટેલ ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
અરવલ્લી જિલ્લામાં ચાર હજાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે, જેમાં દૂધી, ભીંડા, રવૈયા, ટામેટા સહિતના પાકો લેવાયો છે, જોકે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં શાકભાજી ઉતારવી મુશ્કેલ બની છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં શાકભાજીને પણ નુકસાન પહોંચવાની માહિતી મળી છે, જેને લઇને શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે.