બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલ લઠ્ઠાકાંડમાં 50 થી વધુ લોકોને ભરખી જતા રોજીદ સહીત ગ્રામ્ય વિસ્તારોમાં માતમ છવાયો છે સ્મશાનમાં જગ્યા ઓછી પડી તો શેરીઓમાં સન્નાટો છવાયો છે કોઈએ પિતા, પુત્ર, પતિ ગુમાવ્યા છે ત્યારે બોટાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે લઠ્ઠાકાંડમાં દેવગણા ગામના એક યુવાન મોત થતા તેના નિરાધાર બનેલા 4 સંતાનોની ભણતરની જવાબદારી બોટાદ પોલીસે ઉપાડી લીધી છે ચારે બાળકો માટે હવે પોલીસ પિતા બનતા લોકોએ પોલીસતંત્રની સરાહના કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,લઠ્ઠાકાંડની ઘટના પછી મૃતક પરિવારોને સાંત્વના આપવા જીલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલા, જીલ્લા નાયબ અધિક્ષક તેમની ટીમ સાથે મુલાકાત કરી રહી છે દેવગણા ગામમાં લઠ્ઠાંકાંડના કારણે કનુભાઈ સેખલિયાનું મૃત્યુ થતાં તેમના ચાર બાળકો નોંધારા બન્યા હોવાની જાણ થતા તેની પત્ની અને બાળકો પાસે પહોંચી હિંમત આપી ચાર બાળકો અનાથ થતા બાળકોના ભણતરની જવાબદારી ઉપાડવાની જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર બાબતે SP ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે, બોટાદના લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા આરોપીને પકડવાની કાર્યવાહી હાલ ચાલુ જ છે. તે દરમિયાન અમારા ધ્યાને આવ્યું હતું કે, દેવગણા ગામમાં કનુભાઈ સુરાભાઈનું મોત નિપજ્યુ છે, પત્ની પણ સાથે ન હોવાથી પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી જ રહ્યા છે. બોટાદ જિલ્લા અધ્યક્ષના ધ્યાને આ વાત આવતા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. તેમના પ્રાથમિકથી કોલેજ સુધીનો તમામ ખર્ચ બોટાદ જિલ્લા પોલીસ ઉપાડશે. ઉપરાંત શિક્ષણ સિવાય કોઈ અન્ય મદદની જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.