ગાંધીનગરઃ બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગે કડક કાર્યવાહી કરીને બેદરકાર દાખવવા બદલ 8 પોલિસ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર સિંહ યાદવ અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. અત્રેલ ઉલ્લેખનિય છે કે, બોટાદ લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં કુલ 44 લોકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બોટાદ લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી કરતા છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેનડની કાર્યવાહીમાં ધંધુકા પીઆઇ કે.પી.જાડેજા, રાણપુર પીએસઆઇ એસ.ડી. રાણા, બરવાળા પીએસઆઇ ભગીરથસિહ વાળાનો સમાવેશ થાય છે. તે સિવાય સી.પી.આઇ સુરેશ કુમાર ચૌધરી, બોટાદ ડી.વાય.એસ.પી એસ.કે.ત્રિવેદી, ધોળકા ડી.વાય.એસ.પી એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં ગંભીર બેદરકારીને લઇને ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત નિપજ્યા છે જેમાં બોટાદ જિલ્લામાં 33 અને ધંધુકા તાલુકામાં 11 લોકોનો સમાવેશ થાય છે. હજુ પણ 80થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે 34 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 21 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. કમિટી બે દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે અને દસ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાશે. દરેક ગામમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે.