28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

સાબરડેરી ખાતે 600 કરોડના ખર્ચે તૈયાર થનાર 30 મેટ્રિક ટન પ્રતિદિનની કેપેસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા 600 કરોડના ખર્ચે બનનાર 30 મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન
રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્મિત દૈનિક 3 લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ
રૂપિયા 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક 120 ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ડેરી વ્યવસાયનું અનેરૂ મહત્વ છે. ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વનું શ્રેષ્ઠ પ્રતિક છે. ગુજરાત સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ છે તે આવકારદાયક છે. સાથે સાથે ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તત્કાલિન સમયે દૂઘ ભરાવવા નાંણા સીધા મહિલાઓને મળે તેવો નિર્ણય કર્યો હતો તેનો સીધો લાભ મહિલાઓને મળ્યો છે અને મહિલાઓનું સશક્તિકરણ વધ્યું છે એમ તેમણે ઉમેર્યું હતુ.

Advertisement

આજે સાબરકાઠા જિલ્લાના ગઢોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂપિયા 600 કરોડના ખર્ચે બનનાર 30 મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્મિત દૈનિક 3 લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ તેમજ રૂપિયા 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક 120 ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનએ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનએ સાબરકાઠાના ગઢોડામાં સાબર ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે. એટલું જ નહી ડેરીનું સામર્થ્ય વધારવામાં ઉપયોગી થશે અને સાથે સાથે ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના જીવનમાં પ્રકાશ પથરાશે. ડેરીના સ્થાપક સ્વ. ભૂરાભાઇ પટેલે વર્ષો પહેલા સેવેલું સ્વપ્ન આજે લાખો ખેડૂતોના જીવનમાં બદલાવનો પથ બન્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં કરેલા પરિભ્રમણનો ઉલ્લેખ કરતા નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, સાબરકાંઠાના સંસ્મરણો આજે પણ યથાવત છે. જિલ્લાના અગ્રણીઓ-સાથીઓ સાથેના સંસ્મરણોને તેમણે યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, બે દશક પહેલા અહીની સ્થિતિ અલગ હતી પરંતુ એ સ્થિતિમાં બદલાવ લાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ખેતી-પશુપાલનની પ્રવૃતિને વ્યાપક બનાવી અને ડેરીએ આ વ્યવસ્થાને વધુ પ્રગતિદાયક અને મજબૂત બનાવી તે આનંદની વાત છે.

Advertisement

પીએમ મોદીએ કહ્યુ કે, ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજયા હતા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમ્યાન 10-15 કિ.લો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.

Advertisement

પીએમ નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આજે ડેરીની મહિલા પશુપાલકો સાથે થયેલી વાત દરમ્યાન જાણ્યું કે જિલ્લાની મહિલાઓ દૂધ ઉત્પાદનમાં ખુબ સક્રિય છે. પશુધનની માવજતમાં માહિર મહિલાઓ પશુધનના આરોગ્યની જાળવણીમાં આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે તે ખૂબ આવકારદાયક છે.

Advertisement

રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં વીજળીની મહત્તનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, રાજ્યમાં 24 કલાક વીજળી આપતી જ્યોતિ ગ્રામ યોજનાના પગલે રાજ્યના લોકોના જીવનમાં બદલાવ પણ આવ્યો છે. સાથે સાથે ગામડામાં મિલ્ક ચીલીંગ પ્લાન્ટ કાર્યાન્વિત થયા. તેના પગલે ગામડાઓ અને પશુપાલકોના જીવનમાં મોટો અને પરિણામલક્ષી બદલાવ આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલું છે. તેના પગલે વેલ્યુ એડેડ સપ્લાય ચેન સાથે ખેડૂતો સીધા જોડાશે. જેનાથી કિસાનોની આવક વધારવા પ્રયાસ કર્યો છે. ગુજરાત સહિત દેશમાં કિસાનોની આવક વધી છે અને પશુપાલન તથા મત્સ્ય ઉત્પાદન પણ વધ્યુ છે. ભૂમિહીન ખેડૂતોની આવકમાં પણ સૌથી વધુ વૃદ્ધિ થઇ છે. એટલું જ નહીં, ખાદી-ગ્રામોદ્યોગનું ટર્ન ઓવર રૂપિયા 1 લાખ કરોડથી વધુ છે તેના લીધે ગામડાઓમાં દોઢ કરોડ લોકોને રોજગારી મળી છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં 3 કરોડથી વધુ કિસાનોને કિસાન ક્રેડિક કાર્ડ આપ્યાનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ કહ્યું કે, ખેતીની લાગત ઘટાડવા પણ સરકાર કાર્યરત છે. કેન્દ્ર સરકારે નેનો ફર્ટિલાઇઝરની દિશામાં કામ હાથ ઘર્યું છે અને સાથે-સાથે કૃષિ માટે જરૂરી ખાતર ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ખેતીમાં ખાતર તરીકે વપરાતા યુરિયાનો ભાવ વધ્યો છે પરંતુ તેનું ભારણ ખેડૂતો પર આવવા દીધુ નથી. રૂપિયા 3500 ભાવે યુરીયા સરકારે ખરીદીને ખેડૂતોને માત્ર રૂપિયા 300માં આપે છે. આજ રીતે ડી.એ.પી પ્રતિ ૫૦ કિલોએ રૂપિયાનો 2500નો બોજ સરકાર ઉઠાવે છે. તેનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળે છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યુ કે, આ જિલ્લાના ખેડૂતોએ ટપક સિંચાઇથી ખેતીને પ્રાધાન્ય આપ્યું છે તે આનંદની વાત છે. સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક વિસ્તારમાં પાણી પહોચ્યું છે. શહેરોમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત પાણી અપાય છે.

Advertisement

વિકાસના પાયામાં કનેક્ટિવિટી અને માળખા ગત સુવિધાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ કહ્યું કે, સાબરકાંઠા અને આસપાસના વિસ્તારના કનેક્ટિવિટીનું વિસ્તૃત માળખું ઊભુ કરાયું છે અને તેને પગલે રોજગારી અને પ્રવાસન વધ્યા છે. ફોર લેન રોડ મારફતે શામળાજી દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સાથે જોડાઇ જશે. હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. હિંમતનગરથી અંબાજી ફોર લેન રસ્તો મુસાફરી માટે વધુ ઉપયોગી બન્યો છે. તો 1300 કરોડના ખર્ચે અમદાવાદ શામળાજીનો 6 માર્ગીય રસ્તો પણ વિકાસની ઘરોહર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

પીએમ મોદીએ કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાની પાલદઢવાવની ઘટનાને પણ 100 વર્ષ થયા છે. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એ સમયે આદિવાસી સમાજના યોદ્ધાઓએ અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા હતા. એ સમયે અંગ્રોજોએ કરેલા હત્યાકાંડને આઝાદી પછી ભૂલાવવાનો પ્રયાસ થયો પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્રવીરોએ આપેલા યોગદાનને અમારી સરકારે ઉજાગર કર્યું.

Advertisement

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, આઝાદીના આ મહત્વપૂર્ણ પડાવ પર અનુસુચિત જનજાતિના શ્રી દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિના સ્વોચ્ચ પદે બિરાજમાન થયા છે એ ભારત માટે ગૌરવાન્વિત ઘડી છે. અમારી સરકારે 15 નવેમ્બરને ભગવાન બિરસામૂંડાના જન્મદિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે એટલું જ નહીં, મારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સગ્રામ સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય ઉભું કરવા જઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

સાબરકાંઠાની ગૌરવશાળી ભૂમિ પરથી પીએમ મોદીએ આહ્વવાન કરતા જણાવ્યુ કે, આગામી સમયમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી ઉપરાંત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે ‘એક ભારત શ્રેષ્ઠ ભારતનો’ સંકલ્પ સાકાર કરે. સાબરકાંઠા જિલ્લો સન્માન અને ગૌરવનું પ્રતિક છે ત્યારે આ સ્થળેથી રાજ્યની મહિલાઓની પુરુર્ષાથ શક્તિ એજ મારી પ્રેરણા અને ઉર્જા છે અને આ ઉર્જાને રાષ્ટ્રના વિકાસમાં વાપરવા સંકલ્પબદ્ધ છું એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશને ‘સહકારથી સમૃદ્ધી’નો માર્ગ ચિંધનારા ગુજરાતની ધરા ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના રૂ. 1030 કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થનારા છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનો અમૃતકાળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની પાછલા બે દાયકાની વિકાસયાત્રામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન રહ્યું છે. આઝાદીની ક્રાંતિથી શ્વેતક્રાંતિ સુધી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત રહી છે. સાબરકાંઠાની આ એ ધરતી છે જ્યાં આદિવાસીઓએ અંગ્રેજો સામે બાંયો ચડાવી આઝાદીની ક્રાંતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પાલ દઢવાવ ખાતેના હજારો આદિવાસીઓનું બલિદાન આજે પણ અનેક ક્રાંતિવીરોની યાદ અપાવે છે. આખો દેશ આજે આપણા નરેન્દ્રભાઈની આગેવાનીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. નરેન્દ્રભાઇએ આવા વીર શહિદોની સ્મૃતિ અને આપણા રાષ્ટ્રિય ત્રિરંગાની આન-બાન-શાન પ્રત્યે જન-જનમાં રાષ્ટ્રભાવ જગાવવાનું આહવાન કર્યુ છે. આવનારી તા. 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં જોડાઇને ગુજરાતમાં આ સાબરકાંઠા જિલ્લા સહિત તમામ જિલ્લા-નગરોમાં 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

આઝાદીના અમૃત પર્વે ગુજરાતને નવા ડેરી પ્લાન્ટસની ભેટ વડાપ્રધાનના વરદ હસ્તે મળી રહી હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ વિકાસ રાહે તે જ રફતારથી આગળ વધવા માટે મળી રહ્યો છે. તેના પગલે ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

દૂધ ઉત્પાદન પ્રવૃતિમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બે દાયકામાં 21 લાખથી વધીને 36 લાખ સુધી પહોચી છે. આ જિલ્લાના સહકારી અગ્રણીઓ ભુરાભાઇ પટેલ, ગોપાળભાઇ પટેલ અને અંબુભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિથી 1964માં માત્ર 19 ગામડાની દૂધ મંડળીઓ અને 5100 લીટર દૂધ સંપાદનથી આ ડેરી શરૂ થઇ હતી. આજે 1800 દૂધ મંડળીઓ પાસેથી રોજના 40 લાખ લીટર દૂધ સંપાદન કરીને રોજ 10 કરોડ રૂપિયા પશુપાલકોને વિતરણ કરનારૂં વિશાળ વટવૃક્ષ આ ડેરી બની છે. ગુજરાત બહાર રોહતકમાં પણ આ ડેરીનો પ્લાન્ટ કાર્યરત છે. એટલું જ નહિ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશના પશુપાલકોનું દૂધ પણ સાબર ડેરી ત્યાંથી સંપાદન કરી તે રાજ્યોના પશુપાલકોને દૂધના નાણાં ચૂકવે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશનનો જમાનો છે. ખેતી, પશુપાલન, દૂધ ઉત્પાદન આ ત્રણેય ક્ષેત્રોને વધુ સમૃદ્ધ કરવા વડાપ્રધાન સતત આપણું માર્ગદર્શન કરતા રહે છે ત્યારે રૂપિયા ૩૦પ કરોડનો પાવડર પ્લાન્ટ, રૂપિયા ૧રપ કરોડનો ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂપિયા ૬૦૫ કરોડનો ચીઝ પ્લાન્ટ એ વેલ્યુએડીશન ક્ષેત્રે સાબરડેરીની આગવી પહેલ છે. માત્ર દૂધ, દહીં કે છાશ નહીં પણ અન્ય આવશ્યક ઉત્પાદન કરીને પશુપાલકો અને ડેરી બંનેની આવક વધારવાનો આ અભિગમ આવકાર્ય છે.

Advertisement

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સિંચાઈ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂતો-પશુપાલકોની મહેનતના ત્રિવેણી સંગમથી આ વર્ષે રાજ્યમાં ખેતી અને પશુપાલન નવા રેકોર્ડ અંકિત કરશે તેવી સૌને આશા છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવજીની ઉપાસના આરાધનાનો આ મહિનો છે. ગુજરાતના પશુપાલન ક્ષેત્રની ઉન્નતિ અને વિકાસ માટે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ.

Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દૂઘ ઉત્પાદન એક અલગ વ્યવસાય તરીકે ઉભર્યું છે. સાબરાકાંઠા- બનાસકાંઠા જિલ્લાઓના વિકાસના પાયામાં દૂઘ ઉત્પાદક મહિલાઓનું યોગદાન અનોખું છે. ખેતીની સાથે પશુપાલ વ્યવસાયમાં મહિલાઓ આજે અગ્રેસર બની છે અને તેના પગલે પરિવારોમાં સમુદ્ધિ વધી છે.

Advertisement

સાબર ડેરીએ પશુપાલકોના જીવનમાં નવો ઉજાશ લાવી છે અને આજના પ્રકલ્પોના પગલે પશુપાલકોના જીવનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

સાબરડેરીના ચેરમેન  શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં 58 વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.

Advertisement

સાબર ડેરીના વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે, સાબર ડેરી 58 વર્ષથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે. વર્ષ 2001-02 માં ડેરી સાથે 2,50,000 પશુપાલકો સંકળાયેલા હતા જે સંખ્યા 2021-22માં વધીને 3,85,000 સુધી પહોંચી ગઇ છે. સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 2001-02માં રૂપિયા 351 કરોડનું હતું જે વધીને અત્યારે રૂપિયા 6805 કરોડ પહોંચી ગયું છે. અત્યારે અહીં દૈનિક 33 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામા આવે છે.

Advertisement

સુકન્યા યોજના કાયાન્વિત કરી છે અને ડેરી હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તરફ વાળવા કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.પશુપાલક પરિવારોની દીકરીઓને ‘સુકન્યા સમુદ્ધિ યોજના’ની લાભાર્થી દીકરીઓને પ્રશસ્તિપત્રો વડાપ્રધાનએ એનાયત કર્યા હતા. ડેરી દ્વારા અંદાજે 20 હજારથી વધુ દીકરીઓને તેનો લાભ મળવાનો છે.દુઘ ઉત્પાદક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પશુપાલકોનું પણ વડાપ્રધાન દ્વારા પ્રશસ્તિપત્રો આપી સન્માન કરાયું હતું.

Advertisement

આ અવસરે ડેપ્યુટી સ્પિકર જેઠાભાઇ આહિર, રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ રમિલાબેન બારા, સાંસદ ડીપસિંહ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્ય જીતુભાઇ કનોડિયા, સાબરકાંઠા જિલ્લા કલેકટર હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ શાહ તેમજ સાબર ડેરી ચેરમેન શ્યામલભાઈ પટેલ, GCMMFના એમ.ડી. આર.એસ.સોઢી, IFFCOના ચેરમેન દિલીપભાઇ સંધાણી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, NDDBના ચેરમેન મિનેશભાઇ શાહ, ગુજરાત સ્ટેટ કો.ઓ.યુનિયનના ચેરમેન અજયભાઇ પટેલ, સાબરડેરીના સભાસદ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!