ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભલે ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝમાં હાથ ખોલીને રન ના બનાવ્યા હોય પરંતુ વન ડે સીરિઝની પ્રથમ મેચમાં તેનું બેટ બોલ્યુ હતુ અને તેને ફોર્મમાં વાપસીના સંકેત પણ આપ્યા હતા. રોહિત શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો પરંતુ હવે તે પાંચ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝમાં વાપસી કરી ચુક્યો છે. સીરિઝની પ્રથમ મેચ આજે રમાવાની છે અને મેચ પહેલા રોહિત શર્માએ નેટ્સ પર સારો સમય વિતાવ્યો હતો. રોહિત શર્મા નેટ્સ પર સારા ટચમાં જોવા મળ્યો હતો અને એવુ લાગી રહ્યુ છે કે સીરિઝની પ્રથમ મેચમાં તેના બેટથી કેટલાક દમદાર શોટ્સ જરૂર જોવા મળશે.
ત્રિનિદાદ પહોચ્યા બાદથી રોહિત શર્મા ભલે શરૂઆતના દિવસોમાં પ્રેક્ટિસ માટે ના આવ્યો હોય પરંતુ જ્યારે આવ્યો ત્યારે પુરા રંગમાં જોવા મળ્યો હતો. રોહિત શર્માએ નેટ્સ પર પોતાનો સિગ્નેચર શૉટ્સ પણ ફટકાર્યો હતો. આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ રોહિત શર્માનું બેટ શાંત જ રહ્યુ હતુ અને આ સિવાય પણ તે કેટલાક દમદાર સ્કોર બનાવી શક્યો નહતો, એવામાં આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપને જોતા રોહિત શર્માનું ફોર્મ ટીમ ઇન્ડિયા માટે ઘણુ મહત્વનું બની જાય છે.
રોહિત શર્માને ખુદ પણ આ વાતનો અંદાજો છે અને તે આ સીરિઝની સાથે જ પોતાની જૂની લયમાં જરૂર પરત ફરવા માંગશે. રોહિત શર્મા જો ફોર્મમાં પરત ફરે છે તો ટીમ ઇન્ડિયા માટે તેનાથી સારી કોઇ બીજી વાત જ ના હોઇ શકે. રોહિત શર્મા અત્યારે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝની વાત કરીએ તો રોહિત શર્માએ બે મેચમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તેને તે મોટા સ્કોરમાં બદલી શક્યો નહતો.