લેખક-મહેન્દ્ર બગડા
એક સાથે પચાસથી વધુ લોકોના મોત કોઈ એક કારણથી થાય એટલે હાહાકાર મચી જવો સ્વાભાવીક છે. બોટાદ અને ધંધુકા તાલુકાના કેટલાક ગામોમાં દેશી દારુ પીવાથી આ મોત થયાનુ પ્રથમ દ્રષ્ટ્રીએ જણાઈ રહ્યું છે. લઠ્ઠાકાંડ એ પ્રચલિત શબ્દ છે, જે દારુથી પીનારની આંખો જતી રહે અથવા તો મૃત્યુ પામે તેને લઠ્ઠો કહેવાય છે. દારુ બગડીને ઝેર થઈ જાય તે લઠ્ઠો આ સામાન્ય સમજ.
કેમ લઠ્ઠો થઈ જાય છે, ગઈ કાલે નવજીવન વેબ ન્યુઝમાં પ્રશાંત દયાળે દારુમાં કેટલાક હાનિકારક કેમિકલ, ભેંસને મારવાના ઈંજેકશન અને ધંઉમાં નાંખવાના ઝેરી ટીકડા જે આથો મેળવવા માટે વાપરવામાં આવે છે તેના કારણે ઝેર થઈ જતુ હોવાનુ નોંધ્યુ છે. ખેર એ તો કેમિકલ નિષ્ણાંતોનો સવાલ છે.
આપણો મુદ્દો એ છે કે ગુજરાતમાં દારુબંધી જરુરી છે ખરી ? આ વિ્શે અનેક લેખકો, વિચારકો નેતાઓએ પોતપોતાના અભિપ્રાય આપી ચુક્યા છે. મોટા ભાગના લોકો માને છે કે ગાંધીજી ગુજરાતના હતા એટલે ગુજરાતમાં દારુબંધી હોવી જોઈએ. અને ગુજરાતમાં દારુબંધીના સારા પરિણામો વર્ષોથી મળતા રહ્યાં છે. પરંતુ સમય સાથે આ નિતીમાં થોડા ધણા ફેરફાર કરવા જરુરી છે.
સચ, પ્યાર ઓર થોડીસી શરારત એ લેખક ખુશવંતસિંહની આત્મકથા છે. ઉર્દુ બાઝારનામની ઓનલાઈન શોપમાં તે મળે છે. તેનુ એક ક્વોટ ચંદ્ર્કાંત બક્ષીએ વર્ષો પહેલા નોંધ્યુ છે કે બે વસ્તુઓ ક્યારેય કાનુન દ્વારા રોકી શકાતી નથી. દારુ અને વૈશ્યા. આ વિધાન સાથે મોટા ભાગના લોકો સહમત છે. કોઈ વયસ્ક માણસને તમે કાનુન દ્વારા દારુ પીતા અથવા તો વૈશ્યાગમન કરાત રોકી શકો નહી. દૂનિયાની કોઈ સરકાર રોકી શકી નથી. અને આ સુષ્ટ્રીનો ઉદ્વભવ થયો ત્યારથી લઈ આજ સુધીનો અનુભવ છે. દારુ બંધી અને વૈશ્યાગમનને રોકવા માટે સદીઓ સુધી તમામ પ્રકારના જોર ઝુલ્મ, કાયદા કાનુન લગાવવામાં આવ્યા પરંતુ તેને રોકી શકાય નહી. જેમ યુવાન છોકરા છોકરીઓને પ્રેમ કરતા રોકી ન શકાય, નાના બાળકોને રમતા કે રડતા રોકી ના શકાય તેટલુ જ સ્વાભાવીક આ છે.
કાનુનની જબરજસ્તીની એક મર્યાદા હોય છે. અત્યંત કડકાઈથી લઠ્ઠાકાંડ સર્જાઈ શકે છે. ગુજરાતમાં સંપુર્ણ દારુબંધી દ્વારીકા, સોમનાથ . ચોટીલા, પોરબંદર વગેરે જગ્યાએ લગાવી શકાય પરંતુ બાકીના જે ચાલીસ ઉપરના લોકો છે તે પોતાની મરજીથી દારુ પી શકવો જોઈએ. આજ માણસ દિવમાં જઈ ઈચ્છે એટલો દારુ પી શકે. તો ગુજરાતમાં તેને દારુ પીવાની કંઈક રીતે છુટ મળવી જોઈએ.
આપણે ખુબ પાખંડી પ્રજા છીએ, લગભગ મોટા ભાગના ગુજરાતી પુરુષો હવે સારા પ્રસંગો અને તહૈવારોમાં દારુ પીવાનુ પસંદ કરે છે. જે લોકો દારુબંધની સલાહ આપતા હોય છે એ લોકો પણ આ સલાહ પછી તુંરત બોટલ ખોલીને ક્યાંક સંતાઈને દારુ પીવા માંડે છે.
બક્ષીબાબુ કહે છે કે દરેક વયસ્ક વ્યક્તીને સુધારી નાંખવાની જવાબદારી સરકારની નથી. ચાલીસ વર્ષ પછીનો પુરુષ બગડવા માંગતો હોય તો તેને થોડો બગડવા દેવો જોઈએ. દારુબંધીના કારણે ગુજરાતની બાહોશ પોલિસના અનેક અધિકારીઓ આખો દિવસ બુટલેગરોને પકડવામાં જે તેની નોકરી પુરી કરી દે છે. મોટા ભાગના પોલિસ અધિકારીઓ પણ દારુના કેસ અને તેના સંબંધી ગુનાઓમાંજ સમય બરબાદ કરી દે છે. જો એક વખત ગુજરાતમાંથી દારુબંધી આંશિક રીતે દુર થઈ જાય, બીયર , વાઈન વગેરે મુક્ત રીતે મળવા લાગે તો બુટલેગરોનો અંત આવશે, તે સાથે જ લોકોમાં પણ સારી દારુ પીવાથી લઠ્ઠાકંડ જેવા કાંડ થતા બંધ થઈ જશે.
બાકી ગુજરાત ગાંધીનુ છે એટલે દારુબંધી કોઈ પણ સંજોગોમાં જ રાખવી તે હવે સમજદારીની બાબત નથી. બીજુ કે જ્યારે પણ લઠ્ઠાકાંડ થાય એટલે તુરંત કેટલાક પોલિસ જવાનો અથવા તો અધિકારીઓની બદલી, સસ્પેન્ડ વગેરે કરી દેવામાં આવે છે. જે પોલિસે ક્યારેય દારૂનો હપ્તો લીધો નથી, જે અધિકારીઓ દારુના વ્યવસાય પ્રત્યે કડક છે તેમને પણ તેમની જાણ બહાર ઝેરી દારુથી લોકો મરે તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ પોલિસ અધિકારીઓનુ મોરલ તોડવાનુ અને તેના માટે ભયાનક અપમાન છે. હુ એવા બાહોશ આપીએસ અધિકારીઓને નજીકથી ઓળખું છે કે જેઓઓ જીવના જોખમે અનેક ગુંડાઓ અને અસામાજીક તત્વોને ઝેર કરી દીધા છે. પરંતુ તેના વિસ્તારમાં દારુ પકડાય કે લઠ્ઠાકાંડ થાય તો તેમને વગર કારણે સસ્પેન્ડ અથવા તો બદલી કરી દેવામાં આવે છે.
કોઈ પણ કારણવગર કે દોષ વગર જ્યારે પોલિસ અધિકારીઓ કે પોલિસ જવાનની બદલી કે સસ્પેન્ડ થાય એટલે તેમને પણ શરમ, સંકોચ વગેરે ભયાનક થતા હોય છે. એ પણ પરિવાર, વેવાઈવેલા, સગાવ્હાલા વગેરે સાથે જોડાયેલ હોય છે. લઠ્ઠાકાંડ બાદ બદલી થાય એટલે પેપર અને ટીવીમાં નામ ચમકે અને અનેક લોકો પૃછા કરે કે કેમ તમારુ નામ આવ્યુ, અને અંતે આ બધા જ અપમાન સહન કરવાના પોલિસ વિભાગે.
માત્ર ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા એટલે દારુબંધી અને દરેક ગુજરાતી પુરુષને સુધારી દેવાની અગ્મય ઈચ્છા કે ઝીદના કારણે ગુજરાતને ભયાનક નુકસાન થઈ રહ્યું છે. કોઈ બહુ હિંમતવાન નેતા કે લીડર આવે અને ગુજરાતને આ પાખંડમાંથી છોડાવે તો જ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થતો બંધ થશે નહી તો દર બે ચાર મહિને ઝેરી દારુના કારણે લોકો મરતા રહેશે, પોલિસ સસ્પેન્ડ થશે અને બાહોશ અધિકારીઓ બીજા ગુનેગારો અને ગુન્હાઓને રોકવાના બદલે દારુ જેવા ફાલતુ વિષયમાં દોડતા રહેશે.
બાકી જેને દારુ પીવાનો જ છે તે કોઈ પણ સંજોગોમાં દારુ પીને જ રહેશે.જે નથી પીતા તે ક્યારેય નહી પીવે. આ વ્યક્તીગત બાબત છે. હુ એવા લોકોને ઓળખું છું કે જે દિવમાં રહે છે, તેમના ધરની નીચે જ દારુનો બાર છે અને જીવનમાં ક્યારેય દારુને હાથ અડાડ્યો નથી.( નામ બીપીન બાંભણીયા-પત્રકાર દીવ) અને એવા લોકોને પણ ઓળખું છું કે આખુ વર્ષ હવેલીએ અથવા તો સ્વામીનારાણય મંદિરે જાય છે, મરજાદી કૂટુંબમાંથી આવે છે અને રોજ રાત્રે સંતાઈ સંતાઈને ડુપ્લીકેટ દારુ પીને ઈંડાની લારીઓ ભોજન માટે જાય છે. એટલે દારુની છુટ થઈ જાય એટલે બધા જ દારુડિયા થઈ જાય તેવુ ના હોય, સરકાર શ્રી….અસ્તુ.
નોંધ-લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી-9 પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એન્કર છે. વાચક પ્રતિભાવ માટે આ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકે છે. 9909941536