લેખક: મહેન્દ્ર બગડા
બગસરામાં રહેતા કવિ સ્નેહી પરમારની એક અદ્ભુત રચના છે. સભા પાત્રતા. સભામાં કોણ બેસી શકે?
બકૌલ સ્નેહીભાઈ,
સભા પાત્રતા
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?
એટલું પોતાને પૂછ્યું હોય, એ બેસે અહીં.
હવે વાત હર ઘર ત્રિરંગાની. વડા પ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે દેશ માટે શહીદ થનાર અને સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની યાદમાં આગામી પંદર ઑગસ્ટના દિવસે તમામ ઘરો પર ત્રિરંગો લહેરાવવાનું આહ્વવાન કર્યું.
ત્રિરંગો દરેક દેશવાસી માટે જીવથી વધુ પ્રાણપ્યારો છે તેમાં કોઈ બે મત નથી. દરેક ભારતીય ધર્મ, રીતિરિવાજ કે સંપ્રદાયોથી ઉપર ઊઠી કોઈ એક વાત સાથે જોડાયેલો હોય તો તે છે દેશનો ત્રિરંગો.પરંતુ મને વિચાર આવ્યો કે ત્રિરંગો લગાવી દેવાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ જાય ખરો? કે પછી ત્રિરંગો લહેરાવવાની પાત્રતા પણ કેળવવી પડે. અંગ્રેજો જેટલી નીતિમત્તા અથવા તો સિવિક સેન્સ પણ વિકસાવવી પડે અને યાદ આવી ઉપરોક્ત કવિતા – સભા પાત્રતા. જેમ કવિ સભામાં કોણ કોણ બેસી શકે તેની યાદી આપે છે, તેમ ત્રિરંગો કોણ લગાવી શકે તેની પણ એક યાદી હોવી જોઈએ.
તો આ રહી ત્રિરંગા ફરકાવવાની પાત્રતાની યાદી
જેમ કે જેમણે ક્યારેય ગરીબોની હાઈ નથી લીધી તે ફરકાવી શકે ત્રિરંગો.
જેમણે સરકારી નોકરીમાં રહી કોઈ વિધવાના પેન્શનના કાગળ માટે ક્યારેક કોઈને ધક્કા નથી ખવડાવ્યા અથવા તો લાંચ લીધી નથી તે ફરકાવી શકે ત્રિરંગો. જેમણે હૉસ્પિટલમાં નોકરી કરતા ગરીબ કે તવંગર એવો ભેદ રાખ્યા વગર દર્દીઓની સેવા કરી છે તે ફરકાવી શકે ત્રિરંગો.
જેમણે લાંચ ક્યારેય લીધી નથી તે ફરકાવી શકે ત્રિરંગો.
જેમણે ભ્રષ્ટાચાર કર્યો જ નથી તે ફરકાવી શકે ત્રિરંગો.
જેમણે બીજાનો હક્ક છીનવી પોતાનું જીવન સુખરૂપ બનાવ્યું છે તે ત્રિરંગો ફરકાવવાનો હકદાર
નથી.
દેશ સાથે ગદ્દારી કરી હોય, તાઉતે વાવાઝોડાના નામે કરોડોના ખોટા બિલ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોય તે ત્રિરંગો ન ફરકાવે.
નગરપાલિકાના કરોડો રૂપિયા જે પ્રજાના ટૅક્સના છે તે પોતાના ઘરે મોકલી દેનાર ક્યારેય ત્રિરંગો ફરકાવે નહીં, પ્લીઝ.
નગરપાલિકાની પાણીની મોટર જે ચાલુ કન્ડિશનમાં છે તેને બગડી ગયેલી દર્શાવી ખોટા બિલ બનાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારાએ ત્રિરંગો ફરકાવવો નહીં.
કરોડો રૂપિયા ખર્ચીને જે રસ્તાઓ બને છે, તે પ્રથમ વરસાદમાં જો તૂટી જાય છે તો તે કૉન્ટ્રેક્ટર અથવા તો ટેન્ડર પાસ કરનાર કંપનીએ ક્યારેય ત્રિરંગો ફરકાવવો નહીં. પહેલા રસ્તાઓ મજબૂત બનાવો પછી ત્રિરંગો.
જો તમે કોઈ સહકારી સંસ્થામાં છો અને ત્યાં આવતા ખેડૂતોને ખોટું તોલ કરી અથવા તો ખોટા વજનિયા દર્શાવી છેતરપિંડી કરો છો તો ત્રિરંગો ના ફરકાવતા.
જો તમે વિશ્વાસઘાતી છો, કોઈના મૂકેલા વિશ્વાસને તોડી તેને માનસિક કે આર્થિક નુકસાન પહોંચાડનાર છો તો પણ તમે ત્રિરંગો ફરકાવવાને લાયક નથી.
કોઈ વિશ્વાસ સાથે તમારી સાથે મોબાઈલમાં વાત કરે છે અને જો તમે તેની જાણ બહાર એ કોલ રેકોર્ડ કરી લો છો તો તમે તિરંગો ફરકાવવાના હકદાર નથી.
ટૂંકમાં કોલ રેકીર્ડિંગ કરનાર લોકોએ તિરંગાથી દૂર રહેવું.
આ આર્ટિકલ લખી રહ્યો હતો ત્યારે એક મતદારનો ફોન આવ્યો કે સાહેબ મોટા ભાગના ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી ગામના ચોક કે પાદરમાં બેસવા માટે બાંકડાઓની ફાળવણી કરે છે.
જો તમે ધારાસભ્ય છો અને તમે એ બાંકડા મૂકવામાં ગ્રાન્ટમાંથી કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો તો જ તમે ઘર પર ત્રિરંગો ફરકાવજો.
ટૂંકમાં બાંકડાઓના ખોટા બિલ મૂકનાર ચૂંટાયેલા પદાધિકારીઓએ ત્રિરંગો ફરકાવવો નહીં.
જો તમે જાહેર જગ્યાઓને નુકસાન કર્યું હોય અથવા તો તેવા પ્રયાસો કર્યા હોય તો તમારે ત્રિરંગો ફરકાવવો નહીં.
પાટીદાર આંદોલન વખતે કે બીજા કોઈ આંદોલન દરમિયાન જે સરકારી સંપત્તિને નુકસાન થયું હતું, તેમાં જે લોકો ઇન્વોલ્વ હોય તેમણે સ્વેચ્છાએ પોતાની જાતને પૂછીને જો ગુનેગાર હોઈએ તો ત્રિરંગો ફરકાવવો નહીં.
કેટલાક રાક્ષસી મનોવૃત્તિના દીકરાઓ સગાં મા-બાપને સાચવતા નથી, આવા રાક્ષસોએ ત્રિરંગો ફરકાવવો નહીં.
તમે કોઈની વસ્તુ ચોરી લીધી હોય અથવા તો કોઈની પ્રૉપર્ટી દબાવી દીધી હોય તો પ્લીઝ , ત્રિરંગો ફરકાવતા નહીં.
કોર્પોરેશન કે નગરપાલિકાઓમાં કામ કરતા સફાઈ કર્મીઓના હકનું જો છીનવી લો છો અથવા તેને નોકરી આપવામાં પણ ભ્રષ્ટાચાર કરો છો તો મહેરબાની કરી તિરંગા થી દુર રહેજો
મને લાગે છે કે હવે વધુ મુદ્દાઓ ટાંકવા જેવા નથી. નહીં તો ક્યાંક એવું ના બને કે માત્ર જૂજ , ગણ્યાગાંઠ્યા ઘર પર જ ત્રિરંગો લહેરાય.
જોકે મોદીસાહેબનો એક બાબતે આભાર માનવો પડે કે મોટા ભાગના લોકો આઝાદીના સમય પછી જન્મેલા છે. તેમણે આઝાદીનો એ માહોલ કે એ સંઘર્ષ જોયો નથી. હર ઘર ત્રિરંગો અને વિવિધ ત્રિરંગા યાત્રાથી દેશમાં આઝાદી સમય જેવો માહોલ સર્જાયો છે, દેશભાવના વધુ પ્રબળ બની છે તે હકીકત છે. એટલે હર ઘર ત્રિરંગો એ આઇડિયા અથવા તો આહ્વવાન ખૂબ સારું છે, બસ માત્ર જરૂર છે કે ત્રિરંગાને સન્માન મળે તેવી વૃત્તિઓ રાખીએ. અને અંતે,
મોદીસાહેબનો આઇડિયા તો ખૂબ સારો છે, પરંતુ સાથે સાથે એક ત્રિરંગા પાત્રતા જો ઉમેરાય તો ખૂબ સારું રહેશે અને સાથે સાથે મેડમ કામાના આત્માને શાંતિ થશે.
નોંધ-લેખક પ્રસિદ્ધ ટીવી જર્નાલિસ્ટ અને ટીવી-9 પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ‘ભાઈ ભાઈના’ ઍન્કર છે. વાચક પ્રતિભાવ માટે આ વ્હૉટ્સઍપ નંબર પર મૅસેજ કરી શકે છે. 9909941536