કોંગ્રેસના અગ્રણી નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પાંચ પાનાના પત્રમાં આઝાદે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સ્થિતિ નો રિટર્નના તબક્કે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ગાંધી પરિવાર સામે એક નારાજ નેતાઓનું જૂથ ચાલી રહ્યું છે જેને G-23 જૂથ કહેવામાં આવી રહ્યું હતું. આ જૂથમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા નેતાઓ સામેલ હતા અને તેમાંય ગુલામ નબી આઝાદ આ બધા નેતાઓના લીડર માનવામાં આવતા હતા.
કોંગ્રેસ પાર્ટીની અંદર અધ્યક્ષ પદને લઈને ચૂંટણીને લઈને ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે અને હાલમાં જ ગાંધી પરિવાર સિવાય અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવાને લઈને ચર્ચાઓ તેજ બની છે ત્યારે આ ચૂંટણી પહેલા જ આઝાદના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના રાજકારણમાં પ્રવેશ પછી, ખાસ કરીને 2013માં તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા પછી, “અગાઉ અસ્તિત્વમાં રહેલી સમગ્ર સલાહકાર પદ્ધતિ તેમના દ્વારા તોડી પાડવામાં આવી હતી”.