મૂળ સિહોરના રહેવાસી અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કુલદીપસિંહએ પોતાની પત્ની અને 3 વર્ષની દીકરી સાથે મંગળવારે રાત્રે દોઢ વાગ્યે ગોતામાં આવેલા દિવ્ય હાઇટ્સ નામના ટાવર ઉપરથી કૂદકો મારી જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે હજી સુધી સામૂહિક આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
વસ્ત્રાપુર પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ તેમની પત્ની રિધ્ધી અને ત્રણ વર્ષની દીકરી આકાંગશી સાથે ગોતા વિશ્વાસસિટીમાં આવેલા દિવ્યા હાઇટ્સ નામની બહુમાળી ઇમારતમાં રહેતા હતા. રાત્રે દોઢ વાગ્યાના સુમારે કુલદીપસિંહ અને તેમની પત્ની રિધ્ધીએ બાળકી સાથે 12માં માળેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તેમણે ગંભીર ઇજા થતાં તમામના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમની પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે. કુલદીપસિંહ સિહોરના વતની છે પોલીસ મિત્રોનું કહેવું છે કે, કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે હજી સમજાતું નથી. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ અંદાજ ન હતો કે કુલદીપસિંહ અને તેમના પત્ની આવું પગલું ભરશે.