ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં તલાટી, શિક્ષકો, આંગણવાડી કાર્યકર મહિલાઓ, મધ્યાહન ભોજનના સંચાલકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, બિનસચિવાલય ક્લાર્ક તેમજ વનવિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ કરી હતી તો કેટલાક વિભાગોના કર્મચારીઓ કામથી અડઘાં રહ્યા છે. આ વચ્ચે વનવિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાતા જંગલો હવે માત્ર 6 હજાર રૂપિયાના નજીવો પગાર મેળવતા ચોકીદાર અને રોજમદારો સંભાળી રહ્યા છે. પણ હવે ચોકીદાર કે રોજમદારો હડતાળમાં જોડાશે તો જંગલોનું શું થશે તે એક સવાલ છે.
ગુજરાતના હજારો જેટલા વનવિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળમાં જોડાયા છે, જેને લઇને જંગલોની સાર-સંભળ માત્ર ચોકીદાર અને રોજમદારો જ કરી રહ્યા છે. આવા ચોકીદારોને મહિના સરેરાશ 6 હજાર જેટલો જ પગાર મળે છે અને આખા જંગલોની રક્ષા કરે છે. એટલુ જ નહીં પ્રાપ્ત માહિતી મુજબ રોજમદાર અને ચોકીદારોને 30 દિવસ નોકરી કરવી પડે છે અને પગાર 18 દિવસનો જ આપવામાં આવી રહ્યો હોવાની બૂમો ઉઠવા પામી છે.
અરવલ્લી જિલ્લામાં પણ વનવિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાતા જિલ્લાના વિવિધ જંગલો હવે તો રામભરોસે હોય તેવું લાગી રહ્યા છે કારણ કે, રોજમદાર અને ચોકીદારોને માત્ર 6 હજાર જેટલો જ પગાર મળવા પામે છે તેમ છતાં તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે પણ તેઓની વાત હજુ સુધી પહોંચી નથી.
ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પાડી શકે છે, પોતાની પડતર માંગણીઓ સંતોષવા હડતાળમાં જોડાયા છે પણ બીજી બાજુ નાના અને રોજિંદુ કમાઈને ખાતા તેમજ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા રોજમદારો અને ચોકીદારોની વ્યથા કોઇ સાંભળવા તૈયાર ન હોય તેવું પણ લાગી રહ્યું છે.
ચોકીદાર/રોજમદારોની મુખ્યમાંગ
કાયમી કરવા
પગાર વધારો કરવો
હાલ વનવિભાગના ફોરેસ્ટર અને બિટગાર્ડ હડતાળમાં જોડાતા માત્ર જંગલોમાં રોજમદાર અને ચોકીદાર જ જંગલોનું રક્ષણ કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે આવા નાના કર્મચારીઓની વ્યથા કોણ સાંભળશે તે એક સવાલ છે.