ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલગ અલગ માંગણીઓને લઇને સરકારી કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનો આગળ આવી રહ્યા છે ત્યારે માજી સૈનિકોની માંગણીઓ પણ સંતોષવા આંદોલન ચાલી રહ્યા છે. ગાંધીનગર ખાતે આવા જ આંદોલન દરમિયાન માજી સૈનિકનું મોત થતાં અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્યના માજી સૈનિક સંગઠનો દ્વારા તેઓની 14 જેટલી માંગણીઓ માટે શાંતિપૂર્વક કાર્યક્રમ ગાંધીનગર ખાતે કરી રહ્યા હતા, આ સમય દરમિયાન સરકારે પોલિસ દમન કરાવતા કાનજીભાઈ માથોલીયા નામના માજી સૈનિક શહીદ થયેલા છે. દેશની રક્ષા કરનારા વીર સૈનિકો અને શહીદ પરિવારજનોએ રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવું પડી રહ્યું છે, તે ખૂબ જ દુ:ખદ બાબદ છે. માજી સૈનિકોના 14 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જ આંદોલન દરમિયાન શહીદ થયેલા માજી સૈનિકના પરિવારજનોને 1 કરોડની આર્થિક સહાય આપવી તેમજ સમગ્ર ઘટનાની હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદભાઈ પ્રણામી, ટિંટોઇ તાલુકા પંચાયત સભ્ય રાહુલ સોલંકી, માઈનોરિટી પ્રમુખ ઉસ્માનલાલ તેમજ આમ આમદી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.