સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ કરી રહ્યા છે, જોકે તેઓની માંગ સંતોષવામાં નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકાર દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને હડતાળ સમેટી લેવા જણાવ્યું હતું, જોકે, આરોગ્ય વિભાગના કર્મચારીઓના સંગઠને ઠરાવ કરવાની માંગ કરી હતી, ઠરાવ નહીં થતાં હડતાળ યથાવત રહી હતી, ત્યારે આજે મોટી સંખ્યામાં વિધાનસભા બહાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા.
15થી 20 તારીખ સુધી ગાંધીનગરમાં વિરોધ
આરોગ્ય કર્મીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી આંદોલન કરશે. આ દરમિયાન હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. ઉપરાંત રેલી, રસ્તા રોકો આંદોલન તથા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે આરોગ્ય કર્મીઓના પ્રદર્શન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર વાતચીતથી ઉકેલ લાવવા તૈયાર છે. જોકે આરોગ્ય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે તે એક સવાલ છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગ
ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવામાં આવે
કોરોના કાળ દરમિયાન રજાઓમાં કરેલી કામગીરીનું ભથ્થું
ઝીરી કિલો મીટર પીટીએ આપવાની માંગણી
જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવાની માંગણી
અરવલ્લી જિલ્લામાંથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિરોધ દર્શાવ્યો હતો, જેમાં 500 જેટલા અરવલ્લી જિલ્લાના કર્મચારીઓ જોડાયા હતા.