દિલ્હી: ન્યૂઝ ચેનલ્સમાં ચર્ચાની ગુણવત્તા પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ન્યૂઝ ચેનલ્સ ઉશ્કેરણીજનક નિવેદનો માટેનું પ્લેટફોર્મ બની ગઈ છે. પ્રેસ સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ નિયમન વિના, ટીવી ચેનલ્સ દ્વેષપૂર્ણ ભાષણનું સ્ત્રોત બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજકારણીઓએ તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે, ટેલિવિઝન ચેનલ્સ તેમને પ્લેટફોર્મ આપે છે.
ગયા વર્ષે હરિદ્વારમાં આયોજિત ‘ધર્મ સંસદ’ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલા ભડકાઉ ભાષણની સુનાવણી દરમિયાન ન્યૂઝ ચેનલ્સ પરની ચર્ચાની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા સુનાવણી બેંચના જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું હતું કે, ટીવી પર દસ લોકોને ડિબેટ માટે બોલાવવામાં આવે છે. જે બોલવા માંગે છે તેઓ મૌન છે. તેમને પોતાની વાત કહેવાની તક પણ મળતી નથી.
ન્યૂઝ એન્કર્સની જવાબદારી પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે, એન્કરની જવાબદારી છે કે, ચર્ચામાં કોઈ ઉશ્કેરણીજનક વાત ન થાય, પરંતુ એન્કર આવું નથી કરતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આના પર કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. એન્કરની જવાબદારી નિશ્ચિત હોવી જોઈએ. જે કોઇ એન્કરના કાર્યક્રમમાં ભડકાઉ કન્ટેન હોય તે ઓફ એર કરીને દંડ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ આપણે જાણવું જોઈએ કે, રેખા ક્યાં દોરવી. દ્વેષપૂર્ણ ભાષણની આપણા મન પર ગંભીર અસર પડે છે.
ગત વર્ષે હરિદ્વારમાં ‘ધર્મ સંસદ’ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા ભડકાઉ ભાષણ કેસ અંગે SIT પાસેથી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. વર્ષ 2021 માં, હરિદ્વારમાં 17 અને 19 ડિસેમ્બરે, યતિ નરસિમ્હાનંદ દ્વારા અન્ય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિલ્હીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા અન્ય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.