બોલીવૂડ સ્ટાર અને ખેલાડી તરીકે જાણિતા અક્ષય કુમાર સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, તેમની સાથે અભિનેત્રી માનુસી ચીલ્લર સહિતની સ્ટાર કાસ્ટ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સાથે જ ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં હાલ તેઓ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા છે ત્યારે તેમણે સોમનાથ દાદાના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અક્ષય કુમારે સોમેશ્વર મહાપૂજનનો શુભારંભ કરાવ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તથા શ્રધ્ધાળુઓ માટે આજ રોજથી “શ્રી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજન” પુજાવિધિનો શુભારંભ કરવામાં આવ્યો, હિન્દી ફિલ્મના પ્રસિધ્ધ અભિનેતા શ્રી અક્ષય કુમાર પોતે પ્રથમ પુજા કરી શ્રી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજનનો લાભ લીધો. આ પુજન કરવા માટે શ્રધ્ધાળુઓ શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઇન તેમજ મંદિરના પુજાવિધિ કાઉન્ટર પર ઓફલાઇન પણ પુજા નોંધાવી શકશે. હાલમાં આ પુજાના સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતે ત્રણ સ્લોટમાં આ પુજાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સવારે 8-00 કલાકે, સવારે 9-00 કલાકે, સવારે 10-00 કલાકે કુલ ત્રણ સ્લોટમાં દર કલાકે યજમાનશ્રી પુજા કરી ધન્ય બની શકશે.
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમેશ્વર મહાપુજા ના પુજનનો સંકલ્પ કરી, ગણપતિ ધ્યાન કરી, કળશમાં વરુણદેવ તથા સમસ્ત તીર્થોનુ આવાહન કરી, ભગવાન શ્રી સોમનાથ મહાદેવનુ ધ્યાન કરી, વિવિધ દ્રવ્યો જેવા કે દુધ,દહીં,ધી,મધ,ખાંડ, ચંદન,અતર અને ભસ્મ વગેરેથી સ્નાન કરાવી, રુદ્રશુક્તના ૬૬ મંત્રો દ્વારા ભગવાનનો અભિષેક કરાવવામાં આવે છે., ત્યારબાદ ભગવાનને વસ્ત્ર, જનોઇ, ચંદન, ચોખા, ફુલ, ફુલહાર, બિલ્વપત્ર, અબીલ,ગુલાલ,ધુપ,દીપ,નેવૈદ્ય, મુખવાસ,નીરાજનમ,મંત્રપુષ્પાંજલી,પ્રદક્ષીણા અને પ્રાર્થના, આમ અનેક ઉપચારોથી પૂજા કરવામાં આવે છે.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર સાહેબ, કોર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.