પાંચ રાજયોની ચૂંટણીમાંથી ચાર રાજયોમાં ભારતીય જનતા પક્ષને મળેલી સફળતા બાદ હવે 2024ની લોકસભા ચૂંટણી અને તે પુર્વે આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશની તથા આગામી વર્ષે ત્રણ રાજયો મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાનની જે ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે તે ભારતીય જનતા પક્ષ માટે અત્યંત મહત્વની છે.
હિન્દી બેલ્ટમાં આવેલા આ રાજયો ભાજપના ગઢ ગણાય છે. જો કે 2018માં ભાજપને મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાન ત્રણેયમાં પછડાટ ખાવી પડી હતી તથા કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધા હતા જેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સીનીયર નેતા જયોતીરાદીત્ય સિંધીયાના બળવાના કારણે ભાજપને પરત સતા મળી છે જયારે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય તેવો સીલસીલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલ્યો આવે છે. તે ઉપરાંત છતીસગઢની ચૂંટણી પણ ભાજપ માટે મહત્વની છે અને ભાજપ આ ત્રણ રાજયોમાં મુખ્યમંત્રીના ચહેરા વગર જ ચૂંટણી લડશે તે નિશ્ચીત બની ગયું છે.
મધ્યપ્રદેશમાં હાલ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ચોથી ટર્મ માટે શાસન કરી રહ્યા છે અને તેઓ એક મજબૂત મુખ્યમંત્રી સાબીત થયા છે પરંતુ ભાજપ હવે તેને 2023માં ચહેરો બનાવશે નહી આજ રીતે છતીસગઢમાં રમણસિંઘે ત્રણ ટર્મ માટે શાસન કર્યુ હતું અને હાલ આ રાજય કોંગ્રેસના હાથમાં છે તે સમયે ભાજપ હવે છતીસગઢમાં કોઈ ચહેરા વગર જ અને મધ્યપ્રદેશની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડશે.
રાજસ્થાનમાં ભાજપના પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં કમબેક કરવા આતુર છે પરંતુ ભાજપ અહી પણ પોસ્ટરમાં સીએમ ચહેરા તરીકે વસુંધરાને મુકશે નહી તે નિશ્ચીત જણાય છે.