અંકિત ચૌહાણ-જય અમીન
મોડાસા : અરવલ્લી જિલ્લા ના મોડાસા નગરપાલિકા ખાતે પ્રમુખ નિરજ શેઠ, સાબરકાંઠા–અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા DRM રાજુભાઈ પી. ભડકે સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મોડાસા–કપડવંજ–બાયડ–નડિયાદ રેલવે માર્ગ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે મોડાસા–લુણાવાડા–ગોધરા રેલવે લાઇનને મળેલી મંજૂરીના કામોને ઝડપી ગતિ આપવા પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
મોડાસા નગરપાલિકા ખાતે યોજાયેલી બેઠકમાં મોડાસા–અમદાવાદ ટ્રેનને તાત્કાલિક જોડાણ મળે તે મુદ્દે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. વિસ્તારના લોકોને સુવિધા મળે અને રેલવે વ્યવસ્થા મજબૂત બને તે માટે આ માર્ગો અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ શોભનાબેન બારૈયા એ તમામ રેલવે ફાટકો પર તબક્કાવાર અંડરપાસ બનાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અંડરપાસ બનવાથી ટ્રેનોની ગતિમાં વધારો થશે, મુસાફરોનો કિંમતી સમય બચશે તેમજ ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થવાથી વેપાર, રોજગાર અને વિસ્તારના વિકાસને નવી દિશા મળશે.
DRM એ રજૂઆતને ગંભીરતાથી લઈ જરૂરી તકેદારી સાથે પ્રાથમિકતાના આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બેઠકને પગલે મોડાસા સહિત આસપાસના વિસ્તારોમાં રેલવે સુવિધા ઝડપથી મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોડાસા નગર પાલિકા ખાતે યોજાયેલી આ બેઠકમાં નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા



