બિહારના મુજફ્ફરપુરમાં પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. CBI દ્વારા મૃત જાહેર કરવામાં આવેલી મહિલા સાક્ષી બાદામી દેવી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં સીબીઆઇએ બાદામીના મોતનો રિપોર્ટ દાખલ કર્યો હતો, એવામાં મહિલાના કોર્ટમાં હાજર થતા તપાસ એજન્સી સીબીઆઇની મજાક ઉડી હતી.
CBIએ જે મહિલાને મૃત ગણાવીને કોર્ટમાં ડેથ રિપોર્ટ સબમિટ કર્યો હતો તે મહિલા જીવતી નીકળી હતી. આ મહિલા ખુદ મુજફ્ફરપુર સિવિલ કોર્ટમાં જજ સામે હાજર થઇ હતી, તેને જજ સામે આવીને કહ્યુ હુજૂર હું જીવતી છુ. મને CBIએ મૃત જાહેર કરી દીધી છે. હવે કોર્ટે CBI પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ છે.
સીવાનના પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડ સાથે જોડાયેલી આ ઘટના છે, જેમાં મહિલા બાદામી દેવી સાક્ષી છે. CBIએ 24 મેએ કોર્ટમાં બાદામી દેવીને મૃત ગણાવતા રિપોર્ટ દાખલ કરી હતી. આ જાણકારી જ્યારે બાદામીને મીડિયાના માધ્યમથી મળી તો તે દુખી થઇ હતી. તે ખુદ કોર્ટમાં હાજર થઇ હતી અને કહ્યુ કે, હું જીવતી છુ, આટલુ જ નહી મહિલાએ કોર્ટ સામે આઇકાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ પણ બતાવ્યુ હતુ.
જેની પર કોર્ટે આપત્તિ વ્યક્ત કરતા CBIને શો કોજ નોટિસ જાહેર કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ તે મહિલા છે જેના ઘર પર આરોપી કબજો કરવાની ફિરાકમાં હતા. પત્રકાર રાજદેવ રંજન તેને લઇને સતત અવાજ ઉઠાવી રહ્યા હતા.
આ વાતને લઇને આરોપી લડ્ડન મિયાં સહિત અન્યએ નક્કી કર્યુ કે પત્રકારની હત્યા બાદ જ ઘર પર કબજો થઇ શકે છે. તે બાદ પત્રકાર રાજદેવ રંજનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.