અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને રથને લીલી ઝંડી આપવામા આવી
અંકિત ચૌહાણ, અરવલ્લી
બાળ લગ્નની અટકાયત અને જાગૃતિ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકાર દ્વારા ચાલી રહેલા ૧૦૦ દિવસીય બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા, જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ, ગાયત્રી સેવા સંસ્થા અરવલ્લી અને જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સના સંયુક્ત ઉપક્રમે જન-જાગૃતિ રથ યાત્રાની અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી હતી.

કલેકટર કચેરી અરવલ્લીથી બાળવિવાહ મુક્ત ભારત રથનું પ્રસ્થાન કરાયું હતું. આ રથ અરવલ્લી જિલ્લા મુખ્યાલયથી શરૂ થઈ જિલ્લાના ગામ-ગામમાં જઈ જાગૃતિ ફેલાવશે અને જન-જન સુધી બાળવિવાહના દુષ્ટપરિણામ અને તેના કાનૂની પ્રાવધાનની જાણકારી પહોંચાડશે. આજના કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ બાળ વિવાહ મુકત ભારત અભિયાનમાં સહયોગી બની આ કલંક ને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી દૂર કરવું છે. તેમણે ગાયત્રી સેવા સંસ્થાના આ પ્રયત્નની પ્રશંસા કરી વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ સહયોગ અંગે પણ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, આ સામાજિક દુષ્પ્રથાને પૂર્ણ રૂપે સમાપ્ત કરવા માટે આપણે સૌની જવાબદારી છે અને તેમાં ગુજરાત સરકારનો સંપૂર્ણ સહયોગ છે. કાર્યક્રમમાં ગાયત્રી સેવા સંસ્થાના નિર્દેશક અને પૂર્વ સભ્ય રાજસ્થાન બાળ આયોગના સભ્ય ડો. શૈલેન્દ્ર પંડ્યા દ્વારા જણાવ્યું કે સંસ્થા દ્વારા સરકારના આ અભિયાનમાં અમે અને અમારી ટીમ સંપૂર્ણપણે તૈયાર છીએ અને ગુજરાતના છ જિલ્લાઓમાં આ અભિયાન પ્રશાસનના સહયોગ અને માર્ગદર્શનથી કાર્યરત રહેશે. જેનો પ્રારંભ આજે અરવલ્લી જિલ્લામાં પણ થઈ ચૂક્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ,ગાયત્રી સેવા સંસ્થાના ડિરેક્ટર શૈલેન્દ્ર પંડ્યા, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, બાળ સુરક્ષા અધિકારી , CWC કમિટી ચેરમેન તેમજ હોદ્દેદારો , ચાઇલ્ડ હેલ્પલાઇન અરવલ્લી અને ગાયત્રી સેવા સંસ્થા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતાં



