અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામ (ઇસરી) ખાતે આવેલ કંટાળુ હનુમાનજી મંદિરના પવિત્ર પરિસરમાં ત્રિ-દિવસીય “આમલી અગિયારસ” લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પરંપરાનો અનોખો માહોલ સર્જાયો હતો
આમલી અગિયારસનો મેળો આદિવાસી સમાજ માટે માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ પરંપરા, એકતા અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને મહિલાઓએ ઢોલના તાલે લોકનૃત્ય રજૂ કરી મેળાને જીવંત બનાવી દીધો હતો. લોકગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગ્રામ્ય જીવનની ઝાંખી મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી
ગુજરાત રાજ્યના મંત્રી અને આદિવાસી સમાજનું ઘરેણું પી સી બરંડાએ આમલી અગિયારસના મેળાની કરી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે મેળાની પણ મુલાકાત લીધી હતી સંસ્કૃતિની પરંપરા મુજબ મંત્રીએ મેળામાં ઢોલ વગાડી મેળાનો આનંદ માણ્યો હતો અને મેળાનું નિરીક્ષણ કર્યું હતું
મેળા દરમિયાન મહાનુભાવોએ કંટાળુ હનુમાનજીના દર્શન કરી વિસ્તારના સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ સ્થાનિક વડીલો, યુવાનો અને મહિલાઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ, લાગણીઓ અને વિકાસ સંબંધિત અપેક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.નવાગામ ગ્રામ પંચાયત તથા સ્થાનિક આગેવાનોના સહયોગથી મેળાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઇસરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આમળી અગિયારસ લોકમેળો આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સાંસ્કૃતિક ગૌરવના સંદેશને વધુ મજબૂત બનાવતો મહત્વનો પ્રસંગ સાબિત થઈ રહ્યો છે.



