અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગની કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં રોડ નિર્માણ અને મરામત કામોમાં નીચી ગુણવત્તાની કામગીરી થતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે અહીંના કામોની યોગ્ય દેખરેખ કોણ કરે છે?
માલપુર તાલુકામાં તાજેતરમાં બનાવવામાં આવેલા કેટલાક માર્ગો અંગે ફરિયાદો ઉઠી છે. સાતરડા થી સાતરડા-૧ થઈ માલપુર તરફ જતો માર્ગ તાજેતરમાં બનાવાયો હોવા છતાં તેની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે. માર્ગની બંને બાજુનું માટીકામ અધૂરું હોવાને કારણે માર્ગ કિનારાઓથી તૂટવા માંડ્યો હોવાનું જણાવવામાં આવે છે. ઉપરાંત ડામરનું કામ પણ હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માલપુર તાલુકાના ડામોરના મુવાડા થી ગણેશ ખાંટ તરફ જતા માર્ગ પર પણ હલકી ગુણવત્તાની કામગીરી થયાનો આક્ષેપ થયો છે. ખાસ કરીને અહીં બનાવાયેલા ઘરનાળા (કલ્વર્ટ) ની કામગીરી અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ મુદ્દે અરવલ્લી યુથ કોંગ્રેસના પ્રમુખે માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી તથા સર્કલના અધિકારી ને ટેલિફોનિક રીતે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં રોડની હાલત અને કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે માર્ગ અને મકાન વિભાગમાં SO, DE અને જિલ્લા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્તરે ટકાવારીના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ ગુણવત્તા વિના કામો થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં પણ સત્તાવાર રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.



