દર્દીને 600 થી 900 મીટર સુધી ઊંચકીને લઈ જવાની ફરજ પડી હોવાનો દાવો, જિલ્લા કલેક્ટરને સ્થળ મુલાકાતની ગ્રામજનોની માંગ
રાત્રી મુકામ સહિત પંચાયતોની મુલાકાતે એવા ગામની કરવી જોઈએ કે, જ્યાં વિકાસ હજુ ઘણો દૂર છે, બાકી વિકસિત ગામોની મુલાકાત કરવાનો મતલબ શું?
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ કસરત થઈ!!!!
ગ્રામજનોને તકલીફનું સમાધાન નથી.. પણ તમારા અધિકારીઓને તકલીફ પડે છે, તે તો જુઓ સાહેબ !!!
અરવલ્લી, બાયડ:
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મેરીટિંબા ગામમાંથી વિકાસના દાવાઓ સામે અનેક મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના પરમાર ફળી સહિતના બે ફળિયામાં આજે પણ પાકો રોડ અને જ્યોતિગ્રામ યોજના જેવી પાયાની સુવિધાઓ પહોંચી નથી. જેના કારણે રોજિંદા જીવન ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના અભાવે ગામ સુધી 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. તાજેતરમાં ગામની ત્રણ વર્ષની બાળકી અચાનક ગંભીર રીતે બીમાર પડી હતી. બાળકીને ખેંચ અને ઝાડા જેવી તકલીફ થતાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા પરિવારજનોએ 108 સેવાનો સંપર્ક કર્યો હતો. જોકે રોડ ન હોવાથી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી અને પરિવારજનોને બાળકીને અંદાજે 600 થી 900 મીટર સુધી ઊંચકીને મુખ્ય રસ્તા સુધી લઈ જવાની ફરજ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં બાળકોને શિક્ષણ માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરમાર ફળીમાં આજે પણ જ્યોતિગ્રામ યોજના અમલમાં આવી નથી, જ્યારે બારિયા ફળીમાં જ્યોતિગ્રામની સુવિધા હોવા છતાં યોગ્ય રોડનો અભાવ યથાવત છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે ગ્રામજનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો જિલ્લાના દરેક ગામમાં જ્યોતિગ્રામ યોજના અને વિકાસના કામો પૂર્ણ થયા હોય, તો મેરીટિંબા જેવા ગામમાં હજુ પણ આવી સ્થિતિ કેમ છે? તેઓએ એ પણ સવાલ કર્યો છે કે સંકલન બેઠકમાં અધિકારીઓ દ્વારા વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં આવે છે કે માત્ર કાગળ પરની માહિતી જ દર્શાવવામાં આવે છે? અરવલ્લી જિલ્લા કલેક્ટરને મેરીટિંબા ગામની સ્થળ મુલાકાત લેઈ અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવલો જોઈએ, તે જરૂરી છે. બાકી તો ઉચ્ચ અધિકારીઓને વિવિધ વિભાગના અધિકારીઓ કાગળિયા બતાવી દેશે… અને લોકો કાગળિયા લખી લખી થાકી જશે….
સવાલો…
– શું અરવલ્લી જિલ્લામાં જ્યોતિગ્રામ યોજના ખરેખર 100 ટકા અમલમાં છે?
– શું સંકલન બેઠકમાં અધિકારીઓ વાસ્તવિક માહિતી રજૂ કરતા નથી?
– શું જિલ્લાના તમામ ગામોમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે કે હજુ પણ અનેક ગામો વિકાસથી વંચિત છે?






