અંકિત યૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ લોકોમાં વિકાસની મોટી આશા જાગી હતી. નવા જિલ્લામાં નવી તકો, નવી યોજનાઓ અને સુવિધાઓ પહોંચશે એવી અપેક્ષા હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. વિકાસની ગતિ વધવાને બદલે, અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર અને ઔપચારિક દેખાવનો માહોલ વધુ જોવા મળે છે તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. કેન્દ્ર સરકારની સાંસદ આદર્શ ગ્રામ જેવી યોજનાઓનો હેતુ ગામડાઓને સર્વાંગી વિકાસ તરફ દોરવાનો છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં આજદિન સુધી એવું એકપણ ગામ સ્પષ્ટ રીતે દેખાતું નથી, જેને સાચા અર્થમાં મોડેલ વિલેજ કહી શકાય.
નજીકના સાબરકાંઠા જિલ્લામાં પુંસરી અને નવલપુરી જેવા ગામો વિકાસના આદર્શ ઉદાહરણ બની ચૂક્યા છે. ત્યાં ઈન્ટરનેટ, સીસીટીવી, સારો રોડ, શુદ્ધ પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ સાથે આધુનિક ગ્રામ વિકાસનું મોડેલ ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ અરવલ્લીમાં એવા સ્તરના વિકાસની સરખામણી હજુ શક્ય બની નથી. ઘણા કિસ્સાઓમાં નાના ગામો, જ્યાં માત્ર 25થી 50 મકાનો હોય, ત્યાં મૂળભૂત સુવિધાઓ પહેલેથી જ હોય છે, તેને મોડેલ વિલેજ તરીકે રજૂ કરીને ઉચ્ચ અધિકારીઓને બતાવી સંતોષ માનવામાં આવે છે. પરંતુ આ માત્ર દેખાવનો વિકાસ છે, હકીકતમાં આ પ્રકારના પ્રદર્શનથી ઉચ્ચ અધિકારીઓને ટોપી પહેરાવવાની વાતો પણ લોકોમાં ચર્ચાઈ રહી છે.
અરવલ્લીના ઘણા ગામો પાસે વિકાસ કરવાની ક્ષમતા અને તકો છે. ઉદાહરણ તરીકે માલપુર તાલુકાના મંગલપુર ગામે પોતાના સ્તરે સારા પ્રયાસો કર્યા છે. છતાં, આવા ગામોને આગળ ધપાવવા માટે પ્રણાલીબદ્ધ પ્રયાસો અને પ્રોત્સાહનનો અભાવ જોવા મળે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું વિકાસ માટે યોગ્ય ગામોની પસંદગી થાય છે કે નહીં? ચૂંટણીઓ દરમિયાન ગામડાઓમાં મુખ્યત્વે રોડ, પાણી, બાંકડા અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ જ ઉઠાવવામાં આવે છે. પરંતુ શિક્ષણ, સ્થાનિક રોજગારી, આરોગ્ય અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પૂરતી ચર્ચા થતી નથી. પરિણામે ગામડાઓનો સર્વાંગી વિકાસ અટકી જાય છે.
જો અરવલ્લી જિલ્લામાં સાચા અર્થમાં મોડેલ વિલેજ ઉભું કરવું હોય, તો માત્ર દેખાવથી નહીં, પરંતુ દીર્ઘકાલીન આયોજન સાથે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ટેકનોલોજી પર ભાર મૂકવો જરૂરી છે. સ્થાનિક લોકોની ભાગીદારી અને પારદર્શક વહીવટ પણ એટલા જ મહત્વના છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડે. કલેક્ટર સહિતના અધિકારીઓને ગામડાની વાર્ષિક મુલાકાત કરવાની હોય છે, જે વર્ષ દરમિયાન પુર્ણ કરવાની હોય છે, એટલે જ નછૂટકે જતાં હોય છે. પણ અહીંની ખરી વાસ્તવિકતા નો જો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોત, તો ગામડાઓમાં લોકોની જરૂરિયાત પહોંચી શકી હોત.
વિકાસના દાવા કરતા પહેલા, જમીન પર તેની અસર શું છે તે જોવું જરૂરી છે. નહીતર “મોડેલ વિલેજ” માત્ર કાગળ પર જ રહી જશે અને અરવલ્લી જિલ્લો વાસ્તવિક વિકાસથી વંચિત રહી જશે.



