લોઢીયાના પહાડીયા (અંબાવા) વિસ્તારમાં આગનો તાંડવ – ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આક્ષેપ, “સમયસર કામગીરી કેમ નહીં?”
માલપુર (અરવલ્લી):
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લોઢીયાના પહાડીયા (અંબાવા) વિસ્તારના ડુંગરોમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને વનરાજી બળીને ખાખ થવાની ભીતિ ઊભી થઈ છે.
મળતી માહિતી મુજબ આગ લાગ્યા પછી એક કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં વન વિભાગનો એકપણ અધિકારી સ્થળ પર પહોંચી શક્યો નથી. આ મુદ્દે માલપુર-બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, “અધિકારીઓને જાણ કર્યા છતાં સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, તેઓ તંત્ર સાથે સંકલનમાં છે, પરંતુ આવી ગંભીર પરિસ્થિતિમાં તંત્રની મોડેલી કામગીરી અનેક પ્રશ્નો ઊભા કરે છે.
માલપુર વન વિભાગ ની કામગીરી પર ઉઠ્યા સવાલો:
અરવલ્લી જિલ્લામાં વન વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે, ખાસ કરીને વાવેતર અને સંરક્ષણ માટે. છતાં આવી આગની ઘટનામાં સમયસર પ્રતિસાદ ન મળતા રેન્જ ફોરેસ્ટર તેમજ જિલ્લા સ્તરની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે. આ રીતે આગ લાગે એટલે સર્વાઇવલ રેટ ઉપર ચોક્કસથી શંકા ઉભી થાય છે છેલ્લા બે વર્ષમાં માલપુર પંથકમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવી હતી ત્યારે સ્થાનિક આર એફ ઓ ની કામગીરીને લઈને હવે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે.
વાતાવરણમાં પલટા વચ્ચે આગ, વધતી શંકા :
હાલ રાજ્યમાં વરસાદ અને પવનની આગાહી વચ્ચે આવી આગ લાગવાની ઘટના અનેક શંકાઓ ઊભી કરે છે. કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાતા આગ વધુ ફેલાય તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.



