અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદ-એ-મિલાદ-ઉન-નબી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઝુલૂસમાં જોડાયા હતા. મોડાસા શહેરના મુસ્લિમ વિસ્તારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા અબાલ વૃદ્ધ સૌકોઈ ઈદ-એ-મિલાદની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
ઈદ-એ-મિલાદ-ઉન-નબી ઈસ્લામ ધર્મનું એક મહત્વપૂર્ણ પર્વ છે. આ દિવસે મુસ્લિમ સમાજ હઝરત મહંમદ સાહેબના જીવન તેમના ઉપદેશો તેમજ માનવતા અને ભાઈચારાના સંદેશને યાદ કરે છે. અરવલ્લી જીલ્લાની મસ્જિદોમાં વિશેષ
બંદગી, કુરાન પઠન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મોડાસા શહેર તેમજ મેઘરજ ,ટીંટોઈ, બાયડ અને
માલપુર,ભિલોડા,સાઠંબા સહિત અનેક સ્થળે ઉજવણી કરાઈ હતી
મોડાસા શહેરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી પર્વમાં સવારથી જ વિવિધ ગલી-મહોલ્લાઓમાંથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઝુલૂસમાં જોડાયા હતા.દાવતે ઈસ્લામી ગ્રુપનું ફૈઝાને મદીના મસ્જિદથી,જૂની આરટીઓ ચોકડી, કોલેજ રોડ થી કસ્બા થઈ વ્હોરવાડ સુધી યોજાયેલ જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. ઝુલૂસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ ટીમો દ્વારા સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી
આ પર્વ પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસની ઉજવણી ઉપરાંત તેમના જીવનમાંથી મળતા માનવતા, એકતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોની મદદના સંદેશને યાદ કરવાનો અવસર પણ બન્યો હતો. આ નિમિત્તે મુસ્લિમ સમાજે પરસ્પર એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.





