આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ માંગ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી રહી છે આ વચ્ચે વિદ્યાસહાયકની ભરતીની જાહેરત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 2600 વિદ્યાસહાયકની ભરતી કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં ધોરણ 1 થી 5 માં 1000 અને ધોરણ 6 થી 8 માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
વિદ્યાસહાયકની ભરતીમાં વિષય મુજબ વાત કરીએ તો ધોરણ 1 થી 5 માં 1000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
હાલ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરાઈ છે પણ અંગ્રેજી વિષયના ઉમેદવારોમાં રોષની લાગણી પ્રગટી છે, ઘણાં વર્ષોથી અંગ્રેજી વિષયના ઉમેદવારોને યોગ્ય તક અને ભરતમાં સ્થાન નથી મળ્યું, ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.