33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય :...

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની S.I.Tની રચના કરાઈ

0
169

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ.

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષક હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટર હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!