રાજ્યમાં દીપડાઓની સંખ્યા સતત વધી છે, હવે જંગલોની સંખ્યા ઘટતા દીપડાઓ માનવ વસાહતમાં પલાયન કરતા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં દીપડાઓની સંખ્યા જોવા મળતી હોય છે પણ ડુંગરો ઘટ્યા અને જંગલોનો નાશ થતાં જ દીપડાઓ પાણી અને ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી જતાં હોય છે, ત્યારે માણસો પર હુમલાની ઘટનાઓ સતત વધે છે. તાપી જિલ્લાના વ્યારા પંથકમાં ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા તાલુકાના કેળકુઈ ગામે ડુંગરી ફળિયામાં દીપડો ખેતરમાં ધસી આવ્યો હતો, આ સમય દરમિયાન ખેતરમાં પાણી વાળવા માટે ગયેલા 65 વર્ષિય ખેડૂત મણીલાલ સોનજીભાઈ ચૌધરી પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. ખેડૂતે બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. દીપડાએ ખેડૂતના મોઢા તેમજ શરીરના અન્ય ભાગા ઈજાઓ પહોંચાડી હતી, આ સાથે જ શરીર પર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઇને વનવિભાગને જાણ કરવામાં આવી હતી, વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
