દક્ષિણ કેલિફોર્નિયન યુગલ, ગ્લેડીસ અને નેલસન ગોનઝાલેઝને અમેરિકામાં 35 વર્ષ રહ્યા પછી કોલંબિયા પાછા મોકલી દેવામાં આવ્યા છે. આ કપલ 1989માં આવ્યું હતું અને લગભગ ચાર દાયકાથી તેમના સમુદાયનો હિસ્સો રહ્યું હતું. તેમની આઈસીઈ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને 18 માર્ચે કોલંબિયા મોકલી દેવાયા અગાઉ સાડા ત્રણ અઠવાડિયા ડિટેન્શનમાં ગાળ્યા હતા. કપલે અમેરિકામાં રહેવા માટે માર્ચ 2000થી ઓગસ્ટ 2021 સુધીમાં તમામ કાનૂની વિકલ્પો અજમાવી લીધા હતા અને નેલસન ગોનઝાલેઝએ 1992માં શરણ માટે અરજી દાખલ કરી હતી.
55 અને 59 વર્ષના આ દંપતિની યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) વિભાગે 21ફેબ્રુઆરીએ અટકાયત કરી હતી અને સાડા ત્રણ અઠવાડિયા ડિટેન્શનમાં રાખ્યા પછી 18 માર્ચે તેમને નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા. નિષ્ઠાપૂર્વક ચેક-ઈન અને નાગરિકતા માટે કાનૂની માર્ગો શોધવા છતાં તેમના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા. તેમની અમેરિકામાં જન્મેલી ત્રણ પુત્રીઓએ તેમના માતાપિતા સામેની કાર્યવાહીને ક્રૂર અને અન્યાયી ગણાવી હતી અને તેમની સાથે અપરાધીઓ જેવો વ્યવહાર થયો હોવાનું જણાવ્યું હતું તેમજ સમાજને તેમણે આપેલા ફાળાની યાદ અપાવી હતી.
ઈમિગ્રેશન વકીલે દાવો કર્યો કે ગોનઝાલેઝ 1990ના દાયકામાં જ્યારે પોતાની સ્થિતિ કાનૂની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે છેતરપિંડી કરનારી ઈમિગ્રેશન પ્રવૃત્તિઓનો ભોગ બન્યા હતા. આઈસીઈ અધિકારીઓએ જણાવ્યું કે કપલે ઓગસ્ટ 2021 સુધીમાં તમામ કાનૂની વિકલ્પો અજમાવી લીધા હતા. નેલસને 1992માં શરણ માટે અરજી કરી હતી પણ તેનો કેસ 1998માં બંધ કરી દેવાયો હતો જેના પછી 2000માં તેની સામે સ્વૈચ્છિક નિર્વાસીત થવાનો આદેશ જારી કરાયો હતો.
અચાનક કરાયેલા નિર્વાસને પરિવારને ભાવાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો પાડયો છે. ઈમિગ્રેશન વકીલે કપલને તેમના વ્યવહાર સાચવવા તેમજ સંબંધીઓને મળવાનો પૂરતો સમય પણ ન આપવા બદલ પ્રશાસનની ટીકા કરી હતી.
