નેશનલ તેમજ રાજ્ય ધોરીમાર્ગો પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આવા અકસ્માતોની ઘટનાઓને ડામવા માટે સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે. હવે ગાંધીનગર રેંજમાં પ્રથમવાર પ્રયોગ કરવામાં આવ્યો છે, જ્યાં અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રક ચાલકો માટે લેન નક્કી કરવામાં આવી છે. શામળાજી થી હિંમતનગર સુધી ભારે વાહનો માટે બીજી લેન નક્કી કરવામાં આવી છે, જ્યારે કાર જેવા વાહનો માટે પ્રથમ અને લાઈટ વ્હીકલ માટે ત્રીજી લેન નક્કી કરાઈ છે.
અરવલ્લી જિલ્લા રેંજમાં અકસ્માત ની ઘટનાઓને ટાળવા માટે પોલિસે વિશેષ ઝૂ્બેશ શરૂ કરી છે. આ માટે અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અને એલ.સી.બી પોલિસ દ્વારા સતત ટ્રક ચાલકોને માહિતગાર કરવામાં આવતા હોય છે. ટ્રક ચાલકો જે જગ્યાએ રોકાણ કરતા હોય અથવા તો ભજન માટે ઊભા રહેતા હોય, તેવી જગ્યાએ પોલિસની ટીમ દ્વારા પત્રિકાઓ આપવામાં આવતી હોય છે, આ સાથે જ મૌખિક રીતે પણ તેમને હાઈવે પર કઈ લેનમાં વાહન હંકારવું તે અંગે જાણકારી આપવામાં આવતી હોય છે.
જે ટ્રક ચાલકો નિયમોનો ભંગ કરે તો, તેનો ફોટો પાડીને આગળ ઊભી રહેલી ટીમને મોકલી આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ આવા ટ્રક ચાલકોને ઈમેમો ઈશ્યુ કરી દેવાય છે. આ માટે શામળાજી થી રાજેન્દ્રનગર સુધી અરવલ્લી ટ્રાફિક પોલિસ અને આર.ટી.ઓ. ની ટીમ તૈનાત કરવામાં આવે છે, જેથી વાહન ચાલકોને જરૂરી દિશાનિર્દેશ પણ કરી શકાય.
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા ટ્રાફિકની કામગીરી સૂચારૂ રૂપે કરતા અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024 ની સરખામણીમાં 38% જેટલો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ફેટલ કેસમાં 2023ની સરખામણી એ વર્ષ 2024 માં ફેટલ અકસ્માતોમાં 26% નો ઘટાડો નોંધાયો છે.





