રાજ્યમાં ચોરીની ઘટનાઓ સતત થતી રહી છે, જેમાંથી કેટલીય ઘટનાઓને પોલિસે ડિટેક્ટ કરતી હોય છે. ગુન્હો કોઈ અલગ જિલ્લામાં નોંધાયો હોય અને ડિટેક્શન અલગ જિલ્લામાં થયાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં રિક્ષા ચોરીની ગુન્હો દાખલ થયો હતો, જેનો ભેદ અરવલ્લી જિલ્લામાં ઉકેલાયો અને પોલિસે ચોરી થયેલ રિક્ષા શોધી કાઢવામાં સફળતા મળી છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના અને એ.એસ.પી. સંજય કેશવાલાના માર્ગદર્શન હેઠળ ચોરી જેવા ગુન્હાઓને ડિટેક્ટ કરવા માટે વિશેષ સૂચના ભિલોડા પોલિસને મળી હતી, ત્યારે ભિલોડા પોલિસની ટીમે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલિસ સ્ટેશન ખાતે વર્ષ 2025માં રિક્ષા ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી, જેને લઇને ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગમાં હતા. આ સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર કાન્તીભાઇ તથા એ.એસ.આઇ.નરેશસિંહ દીપસિંહ બાતમી હકીકત મળેલ કે, ગઇ તા.08/03/2025 ના રોજ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલિસ સ્ટેશન ખાતે રિક્ષા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, તે રિક્ષા ઈડર તરફ જવાની છે. પોલિસે ચોક્કસ હકીકતને આધારે ચોરીમાં ગયેલ બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા લઇ એક ઇસમ રાજસ્થાન તરફથી આવી ભિલોડા થઇ ઇડર તરફ જવાનો હોવાથી, ઘાંટી ગામની સીમમાં રોડ ઉપર વોચ-નાકાબંધી ગોઠવી હતી. આ સમય દરમિયાન અનિલકુમાર શંકરલાલ ભગોરા ઉ.વ.28 ધંધો-મજુરી રહે,કડીયાનાલા (પાટીયા) પંચાયત નયાગાવ તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન નામનો ઈસમ રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો. રિક્ષા નંબર પ્લેટ વગરની હતી, જેને લઇને પોલિસ મૂંજવણમાં મુકાઈ હતી, જોકે પોલિસે રિક્ષા ચાલકની પૂછપરછ કરીને, રિક્ષા અંગે ખરાઈ કરતા, રિક્ષા ચોરીની હોવાનું માલૂમ થયું હતું. પોલિસે 1,50,000 રૂપિયાની રિક્ષા સહિતનો મુદ્દામામલ કબજે કરવામાં સફળતા મળી હતી.
