હજુ પીડિત પરિવારોને મૃતદેહ મળ્યા નથી, ત્યાંતો મંત્રીનો બફાટ
વાહવાહી લૂંટવામાં મંત્રીએ કસર ન છોડી !!!
અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખે એકલાહાથે લગભગ 200 મૃતદેહ બહાર કાઢ્યા : મંત્રી ભિખુસિંહ પરમાર
મંત્રી ભિખુસિંહના નિવેદનથી ખરેખર સેવામાં જોડાયેલા લોકોનું શું?
અરવલ્લી ભાજપ યુવા મોરચના પ્રમુખ કામગીરીમાં હતા, તો અન્ય લોકોએ કંઈ જ કામ કર્યું નહીં હોય ?
મંત્રીના નિવેદન થી આપ ની પ્રતિક્રિયા કહ્યું, સસ્તી પ્રસિદ્ધિ મેળવવી છે
અમદાવાદ ખાતે 12 જુનના રોજ બપોરના અરસામાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી હતી, જેમાં લગભગ 250 જેટલા મુસાફરોના કરૂણ મોત નિપજ્યા છે. સમગ્ર વિશ્વમાં વાયુવેગે સમાચાર ફેલાતા, પ્લેનમાં સવાર મુસાફરોના સ્વજનોના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ, સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો, પોલિસ, વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, આ સાથે જ સરકાર પણ ખડેપગે જોવા મળી હતી. એટલું જ નહીં સીઆરપીએફ, આર્મી, એન.ડી.આર.એફ. ની ટીમ મળીને આર્મ ફોર્સની ટીમને તૈનાત કરાઈ હતી, જેથી તાત્કાલિક ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય.
આટલી મોટી ટીમ હોવા છતાં, ભાજપના નેતા એમ કહે કે, અમારા એક યુવા મોરચાના પ્રમુખ ત્યાં જ હતા તેમને જામ થતાં, તેઓ પણ દોડી ગયા હતા અને લગભગત 200 મૃતદેહ બહાર કાઢ્યા હતા. આવું કહેવું ભાજપ માટે કેટલું યોગ્ય છે તે સવાલ છે. આવું નિવેદન કોઈ નેતા નહીં પણ એક મંત્રીએ આપ્યું છે. રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર મોડાસા ના ખાનજી પાર્ક સોસાયટીમાં પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં રહેતા નુસરજજહાં જેથરા હાજીઓને મળવા માટે આવ્યા હતા. તહેવાર પૂર્મ કરીને તેઓ લંડન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ માં ટિકિટ બૂક કરી હતી, જે પ્લેન ક્રેશ થયું, તેમાં નુસરતજહાં પણ સવાર હતા, તેઓના નિધનના સમાચાર મળતા, મોડાસા નગર પાલિકા પ્રમુખ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમાર સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. આ ખૂબ સારી બાબત છે કે, આ વિસ્તારના તેઓ ધારાસભ્ય છે અને દુ:ખ ની સ્થિતિમાં આ પરિવાર સાથે ઊભું રહેવું.
આ મુલાકાત દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં અરવલ્લીના ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેમણે એવો બફાટ કર્યો કે, જે લોકો સાચે જ સેવા માં જોડાયા હતા, તેમને પણ દુ:ખ થાય. મંત્રી ભિખુસિંહ પરમારે એવું કહ્યું કે, જ્યારે આ ઘટના ઘટી ત્યારે અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિષ પટેલ પણ નજીકમાં હતાં, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લગભગ 200 મૃતદેહ પ્લેનમાંથી બહાર કાઢ્યા હતા. ચાલો મંત્રી જી તમને કોઈએ કહી દીધું એટલે તમે બોલી ગયા પણ જરા વિચાર તો કરો કે, સામાન્ય રીતે એક મૃતદેહને ઊંચો કરવા માટે ત્રણ થી ચાર વ્યક્તિઓની જરૂર પડે, અહીં ભાજપ યુવા મોરચાના પ્રમુખે, કેવી રીતે 200 મૃતદેહ બહાર કાઢ્યા ? શું ત્યાં આર્મી, સીઆરપીએફ, પોલિસ, અધિકારીઓ, કર્મચારીઓ, સરકારના મંત્રી કે અન્ય લોકોને જોવા માટે જ બોલાવ્યા હતા કે શું ? તમારા માનિતા યુવા મોરચાના પ્રમુખે આટલું મોટું કામ એકલા હાથે કેવી રીતે કરી દીધું ?
મંત્રી ભિખુસિંહના બફાટને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આપ નેતા જયદીપ સિંહ ચૌહાણે પણ પ્રતિક્રિયા આપીને, મંત્રીના નિવેદન ને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી હતી. આ સાથે જ સેના અને અન્ય સેવામાં જોડાયેલા લોકોનું અપમાન ગણાવ્યું હતું.
