ગુજરાતના સાબરકાંઠામાંથી ચોંકાવનારા સમચાર સામે આવ્યા છે. જેમાં 15 વર્ષની સગીરાએ આઠમા મહિને એક બાળકને જન્મ આપ્યો છે. મળતી માહિતી મુજબ, ધોરણ 10માં અભ્યાસ કરતી આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી. હાલ, આ મામલે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના ઈડરમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ ગર્ભવતી થયાના આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, ડિલિવરી દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને નરાધમો યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને તેને પ્રેમજાળમાં ફસાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જોકે, પરિવારથી આ સમગ્ર મામલો છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપ્યો ત્યારબાદ તેની માતા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બંને નરાધમોની કરાઈ ધરપકડ
પોલીસે આ મામલે બંને નરાધમોની ધરપકડ કરી લીધી છે. જેની ઓળખ દર્શન સુતરિયા અને હરપાલ સિંહ રાઠોડ તરીકે થઈ છે. હાલ, પોલીસ સગીરાની પૂછપરછ કરી રહી છે. આ સિવાય મૃતક બાળકના ડીએનએ સેમ્પલ એકઠા કરી સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ, પોલીસ ડૉક્ટર સહિત આરોપી, સગીરા અને પરિવારની પૂછપરછ કરી રહી છે.





