જય અમિન/અંકિત ચૌહાણ
મોડાસા નગરપાલિકા દ્વારા ચોમાસા દરમ્યાન શહેરમાં ઠેરઠેર ગટર લાઈન તથા રસ્તા ખોદકામ થવાને કારણે અનેક સોસાયટીઓના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ધનસુરા રોડ ઉપર આવેલી વર્ષો જુની બાગે ફિરદોશ સોસાયટીમાં જવા-આવવાનો કોઈ યોગ્ય રસ્તો ઉપલબ્ધ નથી. તાજેતરમાં આ સોસાયટીનો રોડ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એન્જિનિયર દ્વારા કોઈ લેવલ કાઢ્યા વગર કામ શરૂ થતા થોડા સમયમાં જ કામ બંધ થઈ ગયું હતું. આ મુદ્દે રહીશોએ જુલાઈમાં મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. અધિકારીએ ચોમાસા પછી કામ શરૂ કરીશું તેવી ખાતરી આપી હતી, છતાં પીસીસી થઈ ચૂક્યા બાદ પણ બે મહિનાથી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી.
આ પરિસ્થિતિથી નારાજ રહીશો આમ આદમી પાર્ટીના અરવલ્લી જિલ્લા માઇનોરિટી પ્રમુખ ઉસ્માન લાલાનો સંપર્ક કર્યો હતો. ઉસ્માન લાલાએ સ્થળ પર જાતે પહોંચી નિરીક્ષણ કર્યું અને મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે “ચોમાસા દરમ્યાન નગરપાલિકા નવા રોડનું કામ શરૂ કરી શકે છે તો બે મહિનાથી અધૂરું પડેલું કામ કેમ આગળ વધારવામાં આવતું નથી? શું કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે કે સત્તાધીશો જ રોડ બનાવવામાં રસ દાખવી રહ્યા નથી?” તેમણે ચેતવણી આપી કે જો ટૂંકા સમયમાં રસ્તાનું કામ શરૂ ન થશે તો સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરીને વિરોધ કરશે.
