37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતાને પણ મારી...

શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી

0
36

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલની બંદૂકમાંથી મિસફાયર થતાં તેની પત્નીનું મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનાથી ડરી ગયેલા યશરાજે ખુદ પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ચોંકવનારો ખુલાસો ખુદ યશરાજની માતાએ કર્યો હતો. પોલીસે તેમના નિવેદનમાં આ માહિતી જાહેર કરી છે.

આ ઘટના અંગે જયેશ બ્રહ્મભટ્ટ (એસીપી, એ ડિવિઝન, અમદાવાદ), જણાવ્યું કે, વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરમાં ઘટેલી આ કરૂણ ઘટનામાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબાનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. દંપતી રાત્રે સગાને ત્યાં જમીને પરત આવ્યા બાદ પોતાના રૂમમાં સુવા ગયું હતું. આમ થોડીકવાર પછી યશરાજસિંહે તેમની માતાના રૂમમાં જઈને જાણ કરી હતી કે તેમની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી ગઈ છે અને પત્નીને વાગી છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી પત્નીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 108નો કર્મચારી આ બાબતે કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં ગયો, તે જ સમયે યશરાજસિંહે બેડરૂમમાં પોતાની જાતે માથાના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે,યશરાજસિંહ મરીન ટાઈમમાં સરકારી નોકરી કરતા હતા અને પ્રાથમિક તપાસ મુજબ વપરાયેલી રિવોલ્વર લાઈસન્સ વાળી હતી. પોલીસે FSL, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખીને તપાસ હાથ ધરી છે અને બંને મૃતદેહોને ફોરેન્સિક પીએમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ ઘટના આકસ્મિક રીતે ગોળી છૂટવાથી બની છે કે કેમ, તે જાણવા માટે ગોળી કયા એંગલથી અને કેટલા અંતરથી વાગી છે તે પીએમ રિપોર્ટ અને એફએસએલ તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે રિવોલ્વર જપ્ત કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ તપાસની જાણકારી અનુસાર દંપતી વચ્ચે કોઈ ઝઘડો થયો નહોતો પરંતુ યશરાજ સિંહની બંદૂકમાંથી મિસફાયર થયું હતું જેના કારણે તેની પત્નીને ગોળી વાગી ગઇ હતી જે બાદ તે ઢળી પડી હતી. આ જોઇને યશરાજ હેબતાઈ ગયો હતો અને તેણે મમ્મીને ત્વરીત જાણ કરી 108ને કોલ કર્યો હતો. ત્યાં પણ તેણે ભૂલથી ગોળી ચાલી ગઇ હોવાની જાણકારી આપી હતી. જોકે 108ના કર્મચારીઓ પહોંચતા જ તેમની સામે જ યશરાજે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો ખુદ યશરાજની માતાએ કર્યો છે. હાલમાં NRI ટાવર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ NRI ટાવરમાં નિવાસ કરતા હતા. ગત મોડી રાત્રે આ ઘટના બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!