મોડાસા શહેરમાં છેલ્લા સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપી રહેલી શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં વસંત પંચમીના પાવન અવસરે સરસ્વતી વંદના તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત જ્ઞાનની દેવી મા સરસ્વતીના વિધિવત પૂજન અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓને વસંત પંચમીના ધાર્મિક તથા શૈક્ષણિક મહત્વ અંગે માર્ગદર્શનરૂપ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ભેળ કોલેજના તાલીમાર્થી બહેનો દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એયુ બેંક, મોડાસા શાખા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. એયુ બેંકના મેનેજર સચિન પટેલ પ્રણામી દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટર આપી શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં સહયોગ કરવાની ભાવના વ્યક્ત કરી હતી તેમજ આ અવસર બદલ સરસ્વતી બાલમંદિર મંડળનો આભાર માન્યો હતો.
શ્રી સરસ્વતી બાલમંદિર મંડળના પ્રમુખ નિલેશ જોષીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાનની દેવી મા સરસ્વતી સમગ્ર વિશ્વને બુદ્ધિ, જ્ઞાન અને સંસ્કાર પ્રદાન કરે છે. વસંત પંચમીના પાવન દિવસે તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં મંડળના ઉપ પ્રમુખ નાનાલાલ પ્રજાપતિ, મંત્રી નવનીત પરીખ, જાયન્ટ્સ મોડાસાના જાયન્ટ્સ પ્રવીણ પરમાર, વિનોદ ભાવસાર તથા સમાજસેવક ઈશ્વરચંદ્ર ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય સુનિલ પટેલ તથા શૈલેષ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.






