સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું સીધું જ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતોના પ્રશ્નોને લઈને સક્રિય રીતે લડત આપતા રાજુ કરપડાના અચાનક નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

ખેડૂતોના પ્રશ્ને આંદોલન અને ધરપકડ
ગત ઓક્ટોબર મહિનામાં અમદાવાદ સ્થિત AAPના કાર્યાલય ખાતે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના આગેવાનો કડદાપ્રથાના વિરોધમાં તેમજ ખેડૂતોને ન્યાય અપાવવા આમરણ ઉપવાસ પર બેસવાના હતા. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.
બોટાદ જિલ્લાના હડદડ વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ગુનો નોંધ્યો હતો. અમદાવાદ કાર્યાલય ખાતે ઉપવાસ શરૂ થાય તે પહેલાં જ પોલીસે રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયત કરી હતી.

