અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં NSPS ના અલગ અલગ કેસ કરવામાં આવી રહ્યા છે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત છે અને ગાંજો તેમજ અન્ય નશીલા પદાર્થોનું વાવેતર કરતા અને તેની હેરાફેરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાકાટુકા ગામની સીમમાં પોતાના ભોગવટાની જમીનમાં એરંડાની આડમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ડ્રોનની મદદથી રેઇડ કરીને ગાંજાના ૨૩ છોડ (કુલ વજન ૯.૭૦૦ કિ.ગ્રા.) જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪.૮૫ લાખ ગણવામાં આવી છે.
આ મામલે ખેતરનો કબજા ભોગવટેદાર સંજયકુમાર તેજુભાઈ ગમાર (ઉ.વ. ૨૫, રહે. ટાકાટુકા, તા. ભીલોડા) સામે એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ની કલમ ૨૦(૨)(બી), ૮(સી) હેઠળ ગુનો નોંધાઈ અટકાયત કરવામાં આવી છે. ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું અને વેચાણ કોને કરવાનું હતું તે અંગે વધુ તપાસ ચાલુ છે. અન્ય કેસોની જેમ પોલીસ પણ મૂળ સુધી પહોંચશે કે નહીં તે સવાલ છે
જમીનની ચોક્કસ વિગતો જાહેર નહીં — પોલીસ કામગીરી પર ચર્ચા
આ કાર્યવાહી અંગે પોલીસે ખેતરની સર્વે નંબર સહિતની ચોક્કસ જમીન વિગતો જાહેર કરી નથી. જેના કારણે સ્થાનિક સ્તરે પોલીસ દ્વારા પારદર્શિતાના મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. જાહેરમાં ચર્ચા છે કે, જમીનનો માલિક, કબજા ભોગવટેદાર અને વાસ્તવિક વાવેતર કરનાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ થવો જોઈએ. આવી વિગતો કેમ જાહેર કરવામાં આવી નથી, તેને લઇને અનેક તર્ક વિતર્ક છે અને જો જાણી જોઈને વિગતો છુપાવવામાં આવી હોય, તો ગંભીર બેદરકારી કોની ?



