અરવલ્લી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીની આખરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભારત ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના અનુસંધાને મતદારોને તા.૩૦-૦૧-૨૦૨૬ સુધી હક્ક દાવા અને વાંધાઓ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાની વિવિધ વિધાનસભા મતવિસ્તારોના મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયેલ દાવા-વાંધાઓ પર નિયમસર નોટિસ આપી સુનાવણી હાથ ધરાઈ અને તા.૧૦-૦૨-૨૦૨૬ સુધીમાં તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. હવે તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ અંતિમ મતદારયાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ થનાર છે.
અગાઉ જિલ્લામાં કુલ ૮,૫૮,૭૫૩ મતદારો નોંધાયેલા હતા, જેમાંથી મરણ, સ્થળાંતર અને ડુપ્લીકેટ એન્ટ્રી જેવા કારણોસર ૭૨,૭૩૮ નામ કમી કરવામાં આવ્યા છે. પરિણામે અંતિમ યાદીમાં કુલ ૭,૯૭,૪૦૭ મતદારોનો સમાવેશ થશે.
અરવલ્લી જિલ્લાના ૩૦-ભિલોડા (અ.જ.જા.), ૩૧-મોડાસા અને ૩૨-બાયડ મતવિસ્તારના મતદારો પોતાનું નામ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ઉપરાંત સૂચિત જાહેર સ્થળોએ તપાસી શકશે. સાથે સાથે ભારત ચૂંટણી પંચની વેબસાઈટ અને વોટર પોર્ટલ પર પણ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. મતદારોને પોતાના નામની ખાતરી કરી લોકશાહી પ્રક્રીયામાં સક્રિય ભાગ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે



