- શામળાજી, ભિલોડા, બાયડ, મોડાસા સહિતની રેંજમાં આજ સ્થિતિ !!!
- અરવલ્લી જિલ્લા નાયબ વન સંરક્ષક શું કરશે ?
- લાકડા માફિયા સામે ઘૂંટણિયે પડશે કે પછી…
- વર્ષોથી અહીંના રેંજની સિસ્ટમ નિષ્ફળ હોવાની ચર્ચા
- ગમે ત્યાંરે ઓફિસમાં જાઓ અધિકારીઓ ફિલ્ડમાં જ હોય !!!
- આવી કેવી ફિલ્ડ હોય છે કે, ઓફિસ જ ન મળે !!!
- ફિલ્ડમાં જાય છે તો પછી કંઈ દેખાતું જ નહીં હોય ?
અરવલ્લી જિલ્લાના જંગલોમાં સુરક્ષા વ્યવસ્થા ખરેખર કેટલી મજબૂત છે તે મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાગળ પર પેટ્રોલિંગ, ચેકપોસ્ટ અને સ્ટાફની સંપૂર્ણ વ્યવસ્થા દેખાતી હોવા છતાં મેદાનમાં હકીકત અલગ હોવાના સવાલો ઉઠી રહ્યા છે. ખરેખર સમસ્યા સંસાધનોની છે કે ગોઠવણની – તે ચર્ચાનો વિષય બન્યો છે.
બાયડ સહિતના વિસ્તારોમાં લાકડાની હેરફેર !!!
રાત્રીના સમયે બાયડ તેમજ આસપાસના વિસ્તારોમાંથી લાકડાં ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે, જોકે સ્થાનિક વન વિભાગે જાણે જંગલોમાં રસ નહીં, પરંતુ ટેબલ વજનમાં રસ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અહીં તો અધિકારીઓને શોભાના ગાંઠિયા સમાન બેસાડ્યા હોય,તેવું પણ લાગે છે. થોડા સમય પહેલા વૃક્ષોના નિકંદનના સામે આવ્યા હતા, જોકે નિકંદન થયેલા લાકડાંનો જથ્થો ક્યાં જાય છે, તે તો લાકડા માફિયા બતાવી શકે, અને તે પણ વનવિભાગ પકડે તો… બાકી તો અરવલ્લી જિલ્લા નાયબ વન સંરક્ષણ ને તો ખ્યાલ જ નહીં આવે કે, અરવલ્લી જિલ્લામાં શું ચાલે છે.
મોડાસા ના બાયપાસ અને શહેરી વિસ્તારમાંથી પસાર થતાં વાહન
આવી જ હાલત, મોડાસા વન વિભાગની છે. અહીં પણ કેટલાક ભ્રષ્ટ બાબુઓ બાયપાસ રોડ પર ઊભા થઈ જાય છે, જાણ કે, કોઈ સારા કામ માટે ઊભા હોય. આ તો રીતસરની લાકડાં ભરેલા વાહનો પસાર કરવા માટેનો પરવાનો આપવામાં આવતો, હોય, તેવી રીતે જોવા મળતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. મોડાસા વન વિભાગના અધિકારીઓ પણ હવે બેલગામ બન્યા છે. મોડાસા તેમજ આસપાસના જંગલોનો સોથ વાળી નાખ્યો છે. લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વાપરે છે, તે અરણ્ય દેવ જ જાણે.
શામળાજી પણ ગ્રીન રોડ !!!
રાજસ્થાન થી ગુજરાતમાં લાકડાંનો જથ્થો મોટાપાયે પસાર કરવામાં આવે છે, જોકે અહીંની પોસ્ટ ખાનાપૂર્તિ હોય, તેવું સ્પષ્ટ લાગે છે. સ્થાનિક અધિકારીઓ લાકડાં માફિયા સાથે ગાઢ મિત્રતા નિભાવતા હોય, તેવું પ્રતિત થાય છે. ભિલોડા અને શામળાજીના અદભૂત જંગલો છે, જેનાથી પ્રકૃતિ ચારેકોર ખિલી ઊઠે છે. એકબાજુ વન મંત્રી કહેતા હોય કે, જંગલોને કશુય થવાનું નથી, જ્યારે બીજી બાજુ રાત્રીના સમયે લાકડાની તસ્કરી ક્યાંથી થાય છે, તે વન વિભાગે જ જણાવી શકે.
ભિલોડા પણ બાકાત નથી
ભિલોડાના વિશાળ જંગલોની પણ આવી જ હાલત છે. કાગળ પણ કંઈક અને સ્થળ પર કંઈ. આ વિસ્તાર પણ લાકડાં માફિયાઓ માટે સિલ્ક રૂટ ગણી શકાય છે. આ લાકડાં આસપાસના વિસ્તારોમાં માફિયાઓ સુધી પહોંચાડી દેવામાં આવતા હોવાની વિગોત સામે આવી છે. જોકે સરકારી બાબુઓ સરકારી ચોપડે બધુ ચોખ્ખુ ચિતરવામાં મસ્ત બની ગયા છે.
અરવલ્લી જેવા જંગલ વિસ્તાર માટે ફક્ત કાગળ પરની વ્યવસ્થા પૂરતી નથી – મેદાનમાં મજબૂત માનવબળ, વાહન અને પૂરતા બજેટ સાથેની સક્રિય હાજરી જરૂરી છે. જંગલ સુરક્ષિત રહેશે કે તસ્કરો માટે ગ્રીન કોરિડોર બનશે તે હવે તંત્રની કામગીરી પર નિર્ભર છે. અરવલ્લી જિલ્લાના નવા યુવાન નાયબ વન સંરક્ષક અહીંની ભ્રષ્ટ સિસ્ટમ સામે શું પગલાં ભરે છે, તે સમય બતાવશે. બાકી તો સૌકોઈ વહેતી ગંગામાં ડૂબકી મારે છે, તેમાં કોઈ બે મત નથી.



