અમદાવાદથી ઉદેપુર વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને લઈ અરવલ્લી જિલ્લામાં શામળાજી સ્ટોપેજની માંગ ફરી તેજ બની છે. અગાઉ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ સત્તાવાર રીતે શામળાજીને સ્ટોપેજ આપવા માંગ ઉઠાવી છે. સોમવારે આ ટ્રેન ટ્રાયલ બેઝ શરૂ થતાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે ટ્રેનને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જોકે અરવલ્લી જિલ્લામાં સ્ટોપેજ ન મળતાં સ્થાનિકોમાં નિરાશાની લાગણી જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા નેતા જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમદાવાદથી ઉદેપુર રોડ માર્ગે મુસાફરી કરવી સમયખાઉ અને મુશ્કેલ હતી. વંદે ભારત શરૂ થતાં મુસાફરોને ઝડપથી ઉદેપુર અને દિલ્હી સુધી પહોંચવાની સુવિધા મળશે, પરંતુ અરવલ્લી જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રને અવગણવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવે તો અરવલ્લી સાથે મહિસાગર અને પંચમહાલ જિલ્લાના મુસાફરોને પણ સીધો લાભ મળી શકે.
સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો દ્વારા સતત માંગ ઉઠતા હવે રેલવે તંત્ર શું નિર્ણય લે છે તે મહત્વપૂર્ણ બન્યું છે. અરવલ્લી જિલ્લાના લોકોમાં શામળાજીને વંદે ભારત સાથે જોડવાની અપેક્ષા વધુ મજબૂત બની રહી છે



