ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી સૂચકાંકમાં 422 અંકનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1421.27 અંક તૂટી પડ્યો હતો. ચાર સેક્ટરને છોડીને બજારના લગભગ તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે આઈટી સેક્ટરના શેરોમાં ખરીદી જોવા મળી હતી, કારણ કે એઆઈના પ્રભાવ અંગે રોકાણકારોની ચિંતા ઘટતી દેખાઈ હતી.
બજારમાં ભારે ગિરાવટના મુખ્ય ચાર કારણ
પ્રોફિટ બુકિંગનું દબાણ
છેલ્લા ત્રણ દિવસથી બજારમાં તેજી ચાલી રહી હતી, જેના કારણે આજે રોકાણકારોએ મોટા પાયે નફો વસૂલ્યો હતો. 16 મુખ્ય સેક્ટરમાંથી 13 સેક્ટરમાં વેચવાલી જોવા મળી. સ્મોલકૅપ અને મિડકૅપ શેરોમાં અનુક્રમે 0.51% અને 0.9%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉના ત્રણ સત્રોમાં નિફ્ટી અને સેન્સેક્સમાં આશરે 1.4%નો ઉછાળો આવ્યો હતો.
કાચા તેલના ભાવમાં વધારો
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની શક્યતાઓને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે. સંભવિત સપ્લાયમાં અવરોધની આશંકાએ રોકાણકારોમાં ચિંતા વધારી અને તેનો સીધો પ્રભાવ શેરબજાર પર પડ્યો.
ટેક્નિકલ લેવલનું દબાણ
વિશ્લેષકોના જણાવ્યા મુજબ બજારમાં ફરી તેજી માટે નિફ્ટીને 25,900થી 26,000નો મહત્વપૂર્ણ સ્તર પાર કરવો જરૂરી છે. આ લેવલ પાર ન થતાં વેચવાલીનો માહોલ રહ્યો.
ઈન્ડિયા VIXમાં ઉછાળો
બજારમાં અસ્થિરતાનું માપ ગણાતા ઇન્ડિયા VIXમાં 8.1%નો વધારો થઈ 13.21 સુધી પહોંચ્યો હતો, જે નજીકના સમયમાં વધુ ઉથલપાથલના સંકેત આપે છે.



