વડા દીતવાર મહામેળા જેવા પવિત્ર અને લોકપ્રિય ધાર્મિક પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા વિશેષ લીગલ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. હજારો ભક્તજનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આયોજિત આ સેમિનારનો મુખ્ય હેતુ સમાજમાં કાનૂની જાગૃતિ ફેલાવવાનો અને દરેક નાગરિકને તેમના અધિકારો અંગે માહિતગાર કરવાનો હતો.
સેમિનારમાં ઉપસ્થિત જનસમૂહને મફત કાનૂની સહાય યોજના, નારી અને બાળ સુરક્ષા સંબંધિત કાયદા, તેમજ ભારતના બંધારણ પ્રદત્ત મૂળભૂત અધિકારો અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. કાનૂની સહાય માટેની પ્રક્રિયા, પાત્રતા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ચીફ એલ.એ.ડી.સી. ડી. એલ. વણકર,
ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. એ. એ. શેખ, પી. ડી. ભરાડા, જી. એમ. પટેલ,આસિસ્ટન્ટ એલ.એ.ડી.સી. ડી. જી. વણકર ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. તથા રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ એડવોકેટ ઘનશ્યામ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે “ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાઓ સમાજ સાથે સીધી જોડાણની શ્રેષ્ઠ તક છે. કાનૂન માત્ર અદાલતોમાં સીમિત નથી, પરંતુ દરેક નાગરિકના જીવન સાથે જોડાયેલ છે. મફત કાનૂની સહાય દ્વારા ન્યાયને ગરીબ અને વંચિત વર્ગ સુધી પહોંચાડવું એ અમારી બંધારણીય ફરજ છે.”
આ સેમિનાર દ્વારા મોટી સંખ્યામાં લોકોએ કાનૂની સહાય અંગે માહિતી મેળવી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની સેવાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, પ્રેરણાદાયી અને જાગૃતિમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.



