ગોધરાથી લુણાવાડા અને મોડાસા સુધી નવી રેલવે લાઈન માટે લાંબા સમયથી ચાલી રહેલી માંગને હવે મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ રૂટના સર્વે માટે રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે, જેના પગલે વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રેલ લાઈન માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. રાજપાલસિંહ જાદવએ સંસદ તથા રેલવે મંત્રાલય સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અશ્વિની વૈષ્ણવને વારંવાર રજૂઆત કરી આ પ્રોજેક્ટને મંજૂરી આપવા વિનંતી કરી હતી.
આ રેલવે લાઈન સાકાર થશે તો પંચમહાલ અને આસપાસના વિસ્તારોને સીધી રેલ સુવિધા મળશે.હાલ આ વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટી મર્યાદિત હોવાથી મુસાફરોને અન્ય શહેરો મારફતે પ્રવાસ કરવો પડે છે. નવી લાઈન બનશે તો વેપાર, રોજગાર અને મુસાફરીની સુવિધામાં વધારો થવાની શક્યતા છે.ખાસ કરીને, આ રૂટ કાર્યરત થશે તો રાજસ્થાન જવામાં વધુ સરળતા રહેશે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સીધી કનેક્ટિવિટી વિકસશે, જેનાથી વ્યાપારિક તેમજ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. હાલમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ ટેકનિકલ અને આર્થિક બાબતોના મૂલ્યાંકન બાદ પ્રોજેક્ટના આગામી તબક્કા અંગે નિર્ણય લેવાશે. સ્થાનિક લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષો જૂની માંગ હવે સાકાર બનશે.



