- નવીન નાયબ વન સંરક્ષક અધિકારીને પણ રેંજના અધિકારીઓ ટોપી પહેરાવતા હોવાની રાવ, અંદરો-અંદર ચર્ચા!!!
- વન વ્યવસ્થા અને વિકાસની યોજના માં રેંજ વાઈઝ વિભાજનની માહિતીમાં આંકડા મુજબ કામ થયા કે પછી !!!!
- જ્યાં જગલ નથી અથવા તો ખરાબ થઈ ગયેલ જંગલને નવું વાવેતર કરવામાં લાખો-કરોડોનો ખર્ચ ઉપજી આવ્યો કે વ્યર્થ ?
- વર્ષ 2025-26 ના આંકડામાં માન્યામાં ન આવે, તેવી કામગીરી થઈ, પણ સર્વાઈવલ અને વેરી ડેન્સ ફોરેસ્ટ વિકસી જશે કે પછી…?
અરવલ્લી જિલ્લામાં જંગલોના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. વનવિસ્તાર વધારવા માટે વાવેતર, જાળવણી અને પુનઃસ્થાપન જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે તાજેતરમાં પ્રાપ્ત થયેલી દસ્તાવેજી વિગતો અને સ્થળ પરની સ્થિતિ વચ્ચે મોટો તફાવત દેખાતો હોવાની ચર્ચા શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ જંગલ વિસ્તારોમાં અફોરેસ્ટેશન ઇન ડિગ્રેડેડ ફોરેસ્ટ, એઇડેડ આર્ટિફિશિયલ રિજનરેશન અને ઇકો રેસ્ટોરેશન જેવી યોજનાઓ હેઠળ વાવેતર અને જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માં ભિલોડા રેંજમાં 45,77,376, શામળાજી રેંજમાં 40,26,450, મેઘરજ રેંજમાં 43,95,212 અને મોડાસા રેંજમાં 2,45,990 રૂપિયાનો ખર્ચ એડે તો નહીં જાય, તે તપાસનો વિષય છે. કારણ કે, ગયા વર્ષોમાં થયેલા વાવેતરનો સર્વાવલ રેટ હજુ યક્ષ પ્રશ્ન છે, જેના પાછળ પણ કરોડો રૂપિયા ગ્રાન્ટ વપરાઈ હશે, તે વાત ચોક્કસ છે. હાલ તો રેંજના અધિકારીઓ નવા ડીએફઓને પોતાની વાતોમાં ભોળવવા માટે દોડાદોડી કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, પણ જો તટસ્થ તપાસ થશે, તો જવાબ તો ડીએફઓ એ જ આપવો પડી શકે, તો નવાઈ નહીં.
સ્થાનિક સ્તરે ચર્ચા એવી પણ છે કે દર વર્ષે વાવેતર કરવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી મોટા પ્રમાણમાં છોડ જોવા મળતા નથી. પરિણામે સર્વાઇવલ રેટ અંગે સ્પષ્ટતા થતી નથી, જેનાથી વાવેતરની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વારંવાર દાવાનળ (જંગલમાં આગ) લાગવાની ઘટનાઓ પણ સામે આવે છે. આ આગ કુદરતી રીતે લાગે છે કે અન્ય કોઈ કારણસર થાય છે તે અંગે પણ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. કેટલાક લોકોના મતે જો વાવેતર અને તેની જાળવણી યોગ્ય રીતે ન થઈ હોય તો આવી આગની ઘટનાઓને કારણે વાસ્તવિક સ્થિતિ છુપાઈ જવાની શક્યતા રહે છે. જોકે આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થયેલી નથી.
વન વિકાસની પ્રક્રિયામાં સામાન્ય રીતે ખાડા ખોદવા, વાવેતર, વીડિંગ (ઝાડીઓ દૂર કરવી), સોઇલ વર્ક અને છોડની સુરક્ષા જેવી કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે મજૂરી અને જાળવણી ખર્ચ પણ દર્શાવવામાં આવે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં આ કામો વાસ્તવમાં થયા છે કે નહીં તે અંગે પણ સ્થળ પર તપાસ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે, જો વાવેતર યોગ્ય રીતે કરવામાં આવે અને તેની સતત દેખરેખ રાખવામાં આવે તો થોડા વર્ષોમાં જ જંગલ વિસ્તાર ઘન બનવા લાગે છે. પરંતુ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઓપન ફોરેસ્ટનું પ્રમાણ વધુ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે.
આ સમગ્ર મુદ્દે પારદર્શિતા માટે વન વિભાગે વાવેતરના વિસ્તાર, વાવવામાં આવેલા છોડની સંખ્યા, સર્વાઇવલ રેટ અને જાળવણી ખર્ચ અંગે વિગતવાર માહિતી જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. સાથે સાથે સ્વતંત્ર રીતે સ્થળ પર તપાસ કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના જંગલો પર ખર્ચાતી સરકારી રકમ અને જમીન પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત દૂર કરવા માટે જવાબદાર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવી જરૂરી બની છે. નહીં તો “અરવલ્લી જંગલ એક કથા” જેવી ચર્ચાઓ વધુ જોર પકડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



