34.9 C
Gujarat
Saturday, July 11, 2026
Home HeadLines Exclusive : મોડાસા ના માજુમ નદી કિનારે રિવર પાર્ક પ્રોજેક્ટ વચ્ચે ઉઠ્યા...

Exclusive : મોડાસા ના માજુમ નદી કિનારે રિવર પાર્ક પ્રોજેક્ટ વચ્ચે ઉઠ્યા સવાલો, કુદરતી પાણીના વહેણમાં અવરોધથી ભવિષ્યમાં જળભરાવની આશંકા?

0
790

મોડાસા માઝુમ નદી કિનારે બનતા રીવર પાર્ક આવકારદાયક, પણ કુદરતી વહેણથી આવનાર દિવસોમાં કોઈ અવરોધ નહીં આવે તેની ગેરંટી કોની?
પહોંળાઈ માં કેટલા મીટર નદીનો વિસ્તાર રીવર પાર્કમાં લેવાયો?
એરિયલ વ્યૂ થી જોઈ તો ખ્યાલ આવે કે, નદીનો ઘણો હિસ્સો રીવર પાર્કમાં સમાયો!!

મોડાસા : ચોમાસાની ઋતુમાં શહેરો અને નગરોમાં પાણી ભરાવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. નિષ્ણાંતોના મતે આવા જળભરાવ પાછળ મુખ્ય કારણ નદીઓના કુદરતી વહેણમાં થતા અવરોધ, દબાણો અને નિકાલ માર્ગોમાં થયેલા બાંધકામો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં બનેલી પરિસ્થિતિઓએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો છે.

થોડા વર્ષો પહેલા વડોદરામાં ભારે વરસાદ બાદ સર્જાયેલા જળભરાવ પાછળ વિશ્વામિત્રી નદીના કુદરતી નિકાલ વિસ્તારમાં થયેલા દબાણો અને આસપાસના વિકાસ કાર્યોને મુખ્ય કારણ માનવામાં આવ્યા હતા. તેવી જ રીતે ચાલુ વર્ષે સુરતમાં કારીગર કેનાલ આસપાસના વિસ્તારોમાં થયેલા બાંધકામો પાણીના નિકાલમાં અવરોધરૂપ બન્યા હોવાના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા.

આ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માજુમ નદી કિનારે અમલમાં મુકાયેલા રિવર પાર્ક પ્રોજેક્ટને લઈને પણ સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. શહેરના વિકાસ અને નદીકિનારાના સૌંદર્યીકરણ માટે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ અનેક રીતે આવકારદાયક માનવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક નાગરિકો અને જાણકારો નદીના કુદરતી વહેણ પર તેની સંભવિત અસર અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે નદીના પટ અને કિનારાના કેટલાક ભાગોમાં થઈ રહેલા બાંધકામો કુદરતી પાણીના નિકાલ માર્ગને સંકુચિત કરી શકે છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડે અને ઉપરવાસમાંથી અથવા ડેમમાંથી વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે, તો નદીના પાણીનું દબાણ વધવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં માજુમ નદી આસપાસની સોસાયટીઓ અને મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો ઊભો થઈ શકે છે કે નહીં, તે અંગે લોકોમાં પ્રશ્નો ઊઠી રહ્યા છે.

નાગરિકોનું કહેવું છે કે વિકાસ કામો જરૂરી છે, પરંતુ નદીના કુદરતી વહેણ, પૂરરેખા (Flood Line) અને જળનિકાલની ક્ષમતાનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા વિના કોઈપણ કાયમી બાંધકામ કરવામાં આવે તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

હાલમાં તંત્ર તરફથી આ પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન શહેરની સુરક્ષા અને જળનિકાલ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો દ્વારા ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે.

મહત્વનો સવાલ હવે એ છે કે વિકાસ અને કુદરતી જળપ્રવાહ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવાશે, જેથી ભવિષ્યમાં મોડાસા શહેરને જળભરાવ જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે.

સવાલો

  • શું રિવર પાર્ક પ્રોજેક્ટ માટે પૂર સંભાવના અને પાણીના વહેણ અંગે ટેક્નિકલ અભ્યાસ કરવામાં આવ્યો છે?
  • નદીના કુદરતી નિકાલ માર્ગને જાળવી રાખવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે?
  • ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિમાં આસપાસના રહેણાંક વિસ્તારો સુરક્ષિત રહેશે?
  • શહેરના ભવિષ્યના પૂર જોખમને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે કે નહીં?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!