અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણને રોકવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ હાઈરિસ્ક અને શંકાસ્પદ કેસના વિસ્તારોમાં સઘન રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સેન્ડ ફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ માટે ડસ્ટિંગ,કાચા મકાનોની દીવાલોની તિરાડોમાં માટી પુરવાની કામગીરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે જ IEC અને SBCC અંતર્ગત લોકોને રોગથી બચવાના ઉપાયો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ચાંદીપુરા વાયરસ મગજને અસર કરતો ગંભીર રોગ છે, જે મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને 0 થી 14 વર્ષના બાળકો માટે વધુ જોખમી બની શકે છે. રોગથી બચવા માટે ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવો, દીવાલોની તિરાડો પૂરો, બાળકોને સંપૂર્ણ ઢંકાયેલા કપડાં પહેરાવો.
જો બાળકમાં તાવ, ઉલટી, ચક્કર, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મેળવો.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આપનો સહયોગ, સમયસરની સાવચેતી અને જાગૃતિ જ ચાંદીપુરા વાયરસ સામેનું સૌથી અસરકારક રક્ષણ છે.






