પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના પિતા અને બે અજાણ્યા અપહરણકારો ક્રેટા કારમાં અપહરણ કરતા સરદાર નગર પોલીસ ભુતાવડ દોડી
પ્રેમલગ્ન કરનાર યુવતી અને અપહરણકારો અજ્ઞાત સ્થળે…!! યુવતી કે પિતાનો કોઈ અત્તોપત્તો નહિ
અરવલ્લી જિલ્લાના ભૂતાવડ ગામના નાઈ સમાજના લોકોએ કલેકટરની આવેદન પાઠવી પોતાની વેદના ઠાલવી હતી. જેમાં નાઈ સમાજના લોકોના ઓરોપ હતો કે તેમના સમાજના એક યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા ગામના ચૌધરી સમાજે તેમને ગામ બહાર હાંકી કાઢ્યા છે, અને તેમને ગામમાં દૂધ, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી ચીજ વસ્તુઓ પણ બંધ કરાવી દીધી છે. ત્યારે હવે યુવતીને તેના પ્રેમી પતિ પાસેથી ઉઠાવી લઈ જવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના ભૂતાવડ ગામના યુવક અને યુવતીને પ્રેમ થઈ જતા બંનેએ ગત તારીખ 9 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતી પ્રેમી પતિ સુભાષ છગનભાઈ નાઈ સાથે તેના નિકોલ સ્થિત ઘરમાં રહેવા લાગી હતી. દરમિયાન આ ઘટનાથી ભૂતાવડ ગામના ચૌધરી સમાજે ગીન્નાઈને ગામમાં રહેતા નાઈ સમાજના લોકોને પરેશાન કરી હાંકી કાઢ્યાના આરોપ સામે આવ્યા હતા. ત્યારે ગઈકાલે તારીખ 20ના રોજ યુવકે સરદારનગર પોલીસસ્ટેશન માં ફરિયાદ કરી તેની પત્નીને તેના પિતા સહિતના ત્રણ શખ્સો ઉઠાવી ગયાની રાવ કરી છે.
અમદાવાદના સરદારનગર પોલીસસ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ યુવક જ્યારે ગઈકાલે બપોરે ઓટો રિક્ષામાં તેના મિત્ર ખુશ્બુબેન વ્યાસના ઘરે બેસવા માટે ગયા હતા. આંગન સોસાયટી નોબલનગર ખાતે રહેતા ખુશ્બુબેનને ઘરે યુવક-યુવતી બેઠા હતા ત્યારે બે વાગ્યાના અરસામાં ખુશ્બુબેનના ઘરે તેની પત્નીના પિતા અજાણ્યા બે યુવક સાથે ઘસી આવ્યા હતા, અને મારમારી કરી તેની પત્નીને ઉઠાવી કાળા રંગની ક્રેટા કારમાં ઉઠાવી જતા રહ્યા હતા.
આ મામલે સરદારનગર પોલીસસ્ટેશને આરોપી યુવતીના પિતા અરવિંદભાઈ વાલાભાઈ ચૌધરી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈપીસીની કલમ 323, 365, 452 અને 114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.